રોડ બની ગયા બાદ સ્થાનિકોની અવરજવર અને યાત્રાળુઓની યાત્રા બનશે સુગમ ઃ રસ્તો ધોવાઈ જવાની કે ખરાબ થવાની સમસ્યા થશે દૂર
રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે.
કચ્છમાં આવેલા યાત્રાધામ હાજીપીરને જોડતા ૩૨ કિલોમીટરના દેશલપર–હાજીપીર માર્ગ સિમેન્ટ કૉન્ક્રીટ (CC)નો બની રહ્યો છે. આ રોડ તૈયાર થઈ ગયા બાદ સ્થાનિકો માટે કાયમી અવરજવર કરવી સુગમ બની રહેશે તેમ જ હાજીપીરે આવતા યાત્રાળુઓની યાત્રા સરળ બનશે.
હાજીપીરને જોડતા ૩૨ કિલોમીટર લાંબા દેશલપર–હાજીપીર રસ્તાનું કામ હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોને મુસાફરીમાં પડતી મુશ્કેલીઓને દૂર કરી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૯૫.૬૦ કરોડ રૂપિયાના ખર્ચે ૩૨ કિલોમીટર લાંબો અને ૭ મીટર પહોળો CC રોડ મંજૂર કરવામાં આવ્યો હતો. હાલમાં આ રોડની ૭૫ ટકા જેટલી કામગીરી પૂરી થઈ છે. આ નવો CC રોડ બનવાથી ચોમાસા દરમ્યાન રસ્તો ધોવાઈ જવો કે ખરાબ થવાની સમસ્યા દૂર થશે. તદુપરાંત હાજીપીર ખાતે દર્શન માટે આવતા અગણિત શ્રદ્ધાળુઓ માટેની યાત્રા સુગમ બની રહેશે.
