૧૮ હાથી પર અંબાડીમાં લગાવવામાં આવશે ૩૬૦ વ્યુ સાથેના કૅમેરા સહિતની ટ્રૅકિંગ સિસ્ટમ : ગયા વર્ષે ગજરાજ થયા હતા બેકાબૂ
અમદાવાદમાં શોભાયાત્રા દરમિયાન હાથીઓ અચાનક ડરીને દોડવા લાગ્યા અને આખી યાત્રામાં અફરાતફરી મચી ગઈ હતી તે સમયની તસવીર
એક સદી કરતાં પણ વધુ વર્ષોથી અમદાવાદમાં નીકળતી વિશ્વપ્રસિદ્ધ જગન્નાથજીની રથયાત્રામાં આ વખતે સલામતીના ભાગરૂપે રથયાત્રામાં જોડાતા હાથીઓ પર ગ્લોબલ પૉઝિશનિંગ સિસ્ટમ (GPS) ટ્રૅકરથી અંકુશ રાખવામાં આવશે. હાથીઓ તેમ જ રથાયાત્રામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સલામતીને લઈને અમદાવાદના પોલીસતંત્રે આ નિર્ણય કર્યો છે.
ગયા વર્ષે અમદાવાદમાં હર્ષોલ્લાસ સાથે નીકળેલી રથયાત્રામાં ગજરાજો બેકાબૂ થયા હતા જેને કારણે નાસભાગ મચી ગઈ હતી. જોકે આ ઘટના બાદ આ વર્ષે પોલીસતંત્ર દ્વારા રથયાત્રામાં જોડાતા ૧૮ હાથીઓ પર મુકાતી અંબાડીમાં હાર્ડવેઅર સાથેની આખી સિસ્ટમ મૂકવામાં આવશે. એમાં ૩૬૦ ડિગ્રી વ્યુ સાથેના કૅમેરા હશે. એમાં ગજરાજની સ્પીડ મૉનિટર થશે, ગજરાજ પસાર થતા હશે એની આજુબાજુમાં થતા સાઉન્ડના ડેસિબલનું મૉનિટરિંગ કરવામાં આવશે, ગજરાજનું લાઇવ લોકેશન ટ્રૅક થશે તેમ જ કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલ સેન્ટરમાં તમામ ગતિવિધિનું મૉનિટરિંગ થશે. અસામાન્ય ઍક્ટિવિટીથી અલર્ટ જનરેટ થશે તો ફીલ્ડ ઑપરેશનના ઑફિસરને તરત જાણ થશે જેથી ત્વરિત પગલાં લઈ શકાશે.
