દીકરીઓએ જવાનોને લાગણીસભર પત્રો પણ લખ્યા છે એ પણ જવાનોને મોકલવામાં આવ્યા છે.
૩૦,૦૦૦ રાખડીઓ સાથે દીકરીઓ તેમ જ સવાણી ગ્રુપના સભ્યો.
દેશની સરહદ પર તહેનાત જવાનો માટે સુરતના પોપટભાઈ પ્રેમજીભાઈ (PP) સવાણી ગ્રુપની સ્કૂલ અને કૉલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા ૩૦,૦૦૦થી વધુ રાખડીઓ બનાવવામાં આવી છે. આ રાખડીઓ વૃંદાવનમાં આવેલા વાત્સલ્યધામમાં મોકલવામાં આવી છે જે સરહદ પર તહેનાત દેશના જવાનોના હાથે બાંધવામાં આવશે. દીકરીઓએ જવાનોને લાગણીસભર પત્રો પણ લખ્યા છે અે પણ જવાનોને મોકલવામાં આવ્યા છે.
સવાણી ગ્રુપના મહેશ સવાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દેશની સુરક્ષા માટે સરહદ પર તહેનાત રહેતા જવાનો માટે રાખડીઓ મોકલવા માટે વિદ્યાર્થિનીઓને કહ્યું હતું કે જેમને પણ સૈનિકભાઈઓ માટે રાખડીઓ મોકલવી હોય તેઓ જાતે બનાવીને મોકલે. ત્યાર બાદ એક અઠવાડિયામાં સવાણી ગ્રુપની સ્કૂલ અને કૉલેજની તેમ જ જે દીકરીઓનાં લગ્ન કરાવીએ છીએ તે દીકરીઓ સહિત ૨૫,૦૦૦ જેટલી દીકરીઓએ ૩૦,૦૦૦થી વધુ રાખડીઓ બનાવી હતી. આ ઉપરાંત કેટલીક દીકરીઓએ જવાનોને લાગણીસભર પત્ર પણ લખ્યા છે. આ તમામ રાખડીઓ તેમ જ પત્રો વૃંદાવનમાં વાત્સલ્યધામમાં સાધ્વી ઋતંભરાજીને ત્યાં મોકલવામાં આવ્યાં છે જ્યાંથી આ રાખડીઓ સરહદ સુધી પહોંચશે અને સુરતની દીકરીઓએ બનાવેલી રાખડીઓ જવાનો તેમના હાથ પર બાંધશે. સાધ્વી ઋતંભરાજીના માર્ગદર્શનમાં ચાલી રહેલા રાષ્ટ્ર રક્ષા સૂત્ર અભિયાનને આ વર્ષે પચીસ વર્ષ થશે ત્યારે પી.પી. સવાણી ગ્રુપ પણ દેશની રક્ષા કરતા જવાનો પ્રત્યે સ્નેહ અને આદરની લાગણી વ્યક્ત કરીને રાષ્ટ્રભક્તિ અભિયાનમાં સહભાગી બન્યું છે અને આ રાખડીઓ વૃંદાવન મોકલી છે.’
