વિરોધના કારણે બુધવારે શપથવિધિ પણ મુલતવી રખાયો હતો. આ દરમ્યાન બીજેપીના ડૅમેજ કન્ટ્રોલે વિજય રૂપાણી સરકારના પ્રધાન મંડળના જૂના જોગીઓને સમજાવી લીધા હતા,
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં નો રિપીટ થિયરીના પગલે બીજેપીમાં ઊભી થયેલી ઊકળતા ચરુ જેવી સ્થિતિને બીજેપીએ કન્ટ્રોલ કરી હતી અને સાગમટે સિનિયરોનો સફાયો થઈ ગયો હતો. બીજેપીના સિનિયર નેતાઓને પાર્ટીએ સમજાવી લઈને ડૅમેજ કન્ટ્રોલ કરતાં ઘીના ઠામમાં ઘી પડ્યું હતું અને ગઈ કાલે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના પ્રધાન મંડળનો શપથવિધિ નિર્વિઘ્ને યોજાયો હતો.
જોકે એ પહેલાં ગુજરાત બીજેપીમાં ધમાચકડી મચી ગઈ હતી અને સિનિયર સહિતના આગેવાનોની નારાજગી અંદરખાને છતી થઈ હતી. વિરોધના કારણે બુધવારે શપથવિધિ પણ મુલતવી રખાયો હતો. આ દરમ્યાન બીજેપીના ડૅમેજ કન્ટ્રોલે વિજય રૂપાણી સરકારના પ્રધાન મંડળના જૂના જોગીઓને સમજાવી લીધા હતા, જેના કારણે ગઈ કાલે યોજાયેલા પ્રધાન મંડળના શપથવિધિમાં પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ગણપતસિંહ વસાવા, પ્રદીપસિંહ જાડેજા સહિતના પૂર્વ પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણીના પ્રધાન મંડળના પૂર્વ નાયબ મુખ્ય મુખ્ય પ્રધાન નીતિન પટેલ, પૂર્વ પ્રધાનો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, ગણપતસિંહ વસાવા, કુંવરજી બાવળિયા, આર. સી. ફળદુ સહિતના સિનિયર પ્રધાનોનો નવા પ્રધાન મંડળમાં સમાવેશ થયો નહોતો.