મોહમ્મદ યુનુસે ગઈ કાલે ઢાકેશ્વરી દેવી મંદિરની મુલાકાત લઈને કહ્યું હતું કે અમે બંગલાદેશને એવો દેશ બનાવવા માગીએ છીએ કે જ્યાં તમામ ધર્મના લોકોના અધિકારની સુરક્ષા થાય.
પ્રતીકાત્મક તસવીર
બંગલાદેશના ઢાકામાં આવેલા તાંતીબજારમાં શુક્રવારે દુર્ગાપૂજાના મંડપમાં બૉમ્બ ફેંકવાની ઘટના અને એના પહેલાં સતખિરામાં જેશોરેશ્વરી કાલી માતાના મુગટની ચોરીના મામલે ભારતે ચિંતા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયે ગઈ કાલે જણાવ્યું હતું કે બંગલાદેશમાં મંદિરો અને દેવી-દેવતાઓને અપવિત્ર કરવાનાં ષડ્યંત્ર રચવામાં આવી રહ્યાં છે અને આ ઘટનાઓને સુનિયોજિત રીતે અંજામ આપવામાં આવી રહ્યો છે. ભારતે માગણી કરી હતી કે બંગલાદેશની મોહમ્મદ યુનુસ સરકારે હિન્દુઓ અને તમામ લઘુમતી કોમનાં પૂજાસ્થળોની રક્ષા કરવી જોઈએ. બીજી તરફ વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસે ગઈ કાલે ઢાકેશ્વરી દેવી મંદિરની મુલાકાત લઈને કહ્યું હતું કે અમે બંગલાદેશને એવો દેશ બનાવવા માગીએ છીએ કે જ્યાં તમામ ધર્મના લોકોના અધિકારની સુરક્ષા થાય.