ભારતના ચીફ ઇકૉનૉમિક ઍડ્વાઇઝર અનંત નાગેશ્વરને ચેતવણી આપી છે કે આ વર્ષે વૈશ્વિક આર્થિક સંકટની શક્યતા ૧૦થી ૨૦ ટકા જેટલી છે
ભારત સરકારના ઇકૉનૉમિક ઍડ્વાઇઝર ડૉ. વી. અનંત નાગેશ્વરને ગઈ કાલે પત્રકાર-પરિષદમાં ઇકૉનૉમિક સર્વેની છણાવટ કરી હતી.
ઇકૉનૉમિક સર્વે ૨૦૨૬માં ૩ સંભવિત વૈશ્વિક પરિસ્થિતિઓની વાત કરવામાં આવી છે. એમાં એક ગ્લોબલ ઑર્ડર તૂટવાની વાત પણ છે જેનાથી ૨૦૦૮માં જેવું આર્થિક સંકટ ઊભું થયેલું એવી પરિસ્થિતિ પેદા થઈ શકે છે. ગ્લોબલ ટ્રેન્ડ અને આર્થિક ક્ષેત્રે આવી રહેલાં સંકટોને કારણે ૨૦૨૬માં ભારતે બહારનાં જોખમોનો પણ સામનો કરવો પડી શકે છે. ચીફ ઇકૉનૉમિક ઍડ્વાઇઝર અનંત નાગેશ્વરને કહ્યું હતું કે ‘૨૦૨૬માં પણ ૨૦૨૫ જેવો જ બિઝનેસ ચાલુ રહે એવી સંભાવના ૪૦થી ૪૫ ટકા જેટલી બતાવી છે. મતલબ કે એક એવું વિશ્વ જે ચાલતું તો રહેશે જ, પણ ખૂબ ઝડપથી એ નબળું પણ પડી શકે છે. એક એવી સંભાવના પણ છે જેમાં સ્ટ્રૅટેજિક દુશ્મની વધે અને વેપાર પૂરી રીતે ખરાબ થાય કે ખરાબ થવાનું દબાણ વધી જાય. એવા સંજોગોમાં પાબંદીઓ વધી શકે છે. ત્રીજી સંભાવના બહુ ઓછી છે જેની શક્યતા ૧૦થી ૨૦ ટકા જેટલી જ છે જેમાં એક સિસ્ટમિક શૉક મળી શકે છે. એમાં ફાઇનૅન્શિયલ, ટેક્નૉલૉજિકલ અને જિયોપૉલિટિકલ સ્ટ્રેસ વધી જાય તો ૨૦૦૮ના ગ્લોબલ આર્થિક સંકટથી પણ વધુ ખરાબ હાલત થઈ શકે છે.’


