કતરના અધિકારીઓએ ફરી એક વાર નૌકાદળના કમાન્ડર પૂર્ણેન્દુ તિવારીની ધરપકડ કરી છે અને તેમને જેલમાં પૂરી દીધા છે.
પ્રતીકાત્મક તસવીર
અગાઉ રાજદ્વારી દરમ્યાનગીરીને કારણે નિવૃત્ત લશ્કરી ઑફિસરો ફાંસીથી બચ્યા હતા, પણ ત્યારે પૂર્ણેન્દુ તિવારી ભારત પાછા નહોતા આવી શક્યા: પરિવારે ફરી વડા પ્રધાનને હસ્તક્ષેપ કરવાની માગણી કરી
કતરના અધિકારીઓએ ફરી એક વાર નૌકાદળના કમાન્ડર પૂર્ણેન્દુ તિવારીની ધરપકડ કરી છે અને તેમને જેલમાં પૂરી દીધા છે. આ મુદ્દે પૂર્ણેન્દુ તિવારીના પરિવારે જણાવ્યું હતું કે તેમની આ મહિનાની શરૂઆતમાં ધરપકડ કરવામાં આવી હતી અને ૬ ડિસેમ્બરે તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ ધરપકડ બાદ પરિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશપ્રધાન એસ. જયશંકરનો સંપર્ક કરીને આ કેસમાં ફરી હસ્તક્ષેપ કરવાની અને તેમની મુક્તિ સુરક્ષિત કરવાની વિનંતી કરી છે.
ADVERTISEMENT
૨૦૨૨ની ૧૬ ઑગસ્ટે કતરમાં ધરપકડ કરાયેલા ૮ લશ્કરી નિવૃત્ત સૈનિકોમાં પૂર્ણેન્દુ તિવારીનો સમાવેશ થતો હતો અને આ તમામને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. જોકે રાજદ્વારી પ્રયાસો પછી કતરના અધિકારીઓએ એમાંથી સાતને માફી આપી હતી. ૧૭ મહિના જેલમાં રહ્યા પછી ફેબ્રુઆરી ૨૦૨૪માં ૭ જણની મુક્તિ શક્ય બની હતી અને આ ૭ અધિકારીઓ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભારત પાછા ફર્યા હતા. જોકે પૂર્ણેન્દુ તિવારી એક અલગ કાનૂની મામલાને કારણે દેશમાં પાછા ફર્યા નહોતા. એ સમયે વિદેશ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂર્ણેન્દુ તિવારી સામે એક અલગ પ્રકારનો નાણાકીય કેસ ચાલી રહ્યો છે, આ કેસ સંપૂર્ણપણે ઉકેલાયા પછી અને કાનૂની પ્રક્રિયા પૂરી થયા પછી જ પૂર્ણેન્દુ તિવારી ભારત પાછા ફરી શકશે. કતરે પૂર્ણેન્દુ તિવારીના વિદેશપ્રવાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ ભારતની મુલાકાતે આવેલા કતરના આમિર શેખ તમીમ બિન હમદ અલ-થાની સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો. તેમણે બન્ને દેશો વચ્ચે મજબૂત રાજદ્વારી સંબંધો પર પ્રકાશ પાડતા ત્યાં રહેતા ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દેશની પ્રતિબદ્ધતાને વધુ સ્વીકારી હતી.


