આ ઘટના બાદ ટૅન્કરચાલક ફરાર થઈ ગયો હતો. અર્નાળા પોલીસ ફરાર ટૅન્કરચાલકને શોધી રહી છે
દાદી અને પૌત્રનો અકસ્માત આ ટૅન્કર દ્વારા થયો હતો.
રિવર્સમાં આવી રહેલા ટૅન્કરની નીચે આવી જવાથી દાદી અને તેમના પાંચ વર્ષના પૌત્રનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. વિરાર-વેસ્ટની ગ્લોબલ સિટીમાં ગઈ કાલે બપોરે બનેલા આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
વિરાર-વેસ્ટની ગ્લોબલ સિટીમાં હજી પણ મહાનગરપાલિકા દ્વારા પૂરતું પાણી આપવામાં આવતું ન હોવાથી રહેવાસીઓએ ટૅન્કરના પાણી પર નિર્ભર રહેવું પડે છે. ગઈ કાલે બપોરે દોઢ વાગ્યે આ વિસ્તારમાં પાણીનું ટૅન્કર આવ્યું હતું. એ સમયે ૫૭ વર્ષનાં અમરાવતી યાદવ તેમના પાંચ વર્ષના પૌત્ર વિવાનને સ્કૂલથી લઈને આવી રહ્યાં હતાં. ટૅન્કર રિવર્સમાં આવી રહ્યું હતું ત્યારે પૌત્ર અને દાદી બન્ને ટૅન્કરનાં પૈડાં નીચે આવી ગયાં હતાં. એમાં વિવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે દાદી ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, પરંતુ સારવાર દરમ્યાન તેમનું પણ મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ ટૅન્કરચાલક ફરાર થઈ ગયો હતો. અર્નાળા પોલીસ ફરાર ટૅન્કરચાલકને શોધી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને ટૅન્કરચાલકોની બેદરકારીને કારણે આવી ઘટનાઓ બની રહી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે આ મહિનામાં ટૅન્કર-અકસ્માતની આ બીજી ઘટના છે. બીજી એપ્રિલે વિરારના જકાતનાકા પર એક ટૅન્કર દ્વારા ટૂ-વ્હીલર પર મુસાફરી કરી રહેલા દંપતીને કચડી નાખવામાં આવતાં મહિલા કિરણ ટાકનું મૃત્યુ થયું હતું.