સારવાર માટે તેને નાગપુર લઈ જવાયો: હિલચાલ બંધ, માત્ર IV ફ્લુઇડ પર જીવે છે
ભારતના શરીર પર તીવ્ર આઇ ઇન્ફેક્શન અને થાપાના ઘા દેખાય છે.
બોરીવલીના સંજય ગાંધી નૅશનલ પાર્ક (SGNP)માંથી સારવાર માટે નાગપુરના બાળાસાહેબ ઠાકરે ગોરેવાડા ઇન્ટરનૅશનલ ઝૂઓલૉજિકલ પાર્કમાં ખસેડવામાં આવેલા ૪.૬ વર્ષના એશિયાટિક સિંહ ભારતની તબિયત વધુ બગડી હોવાની માહિતી વનવિભાગે આપી હતી. ગોરેવાડાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે સિંહની સ્થિતિ હજી પણ અત્યંત નાજુક છે અને એણે ખોરાક લેવાનું બિલકુલ બંધ કરી દીધું છે. માત્ર ઇન્ટ્રાવીનસ (IV) ફ્લુઇડના આધારે જ એ જીવી રહ્યો છે.
ભારત પાછળના પગમાં અતિશય નબળાઈને કારણે ઊભો પણ નથી રહી શકતો. જાન્યુઆરી ૨૦૨૫માં એને ગુજરાતના જૂનાગઢસ્થિત સક્કરબાગ ઝૂમાંથી SGNPમાં લાવવામાં આવ્યો હતો. જોકે એપ્રિલ ૨૦૨૫થી એના પાછળના ભાગમાં ચાલવામાં તકલીફ જણાતી હતી. ત્યાર બાદ કરાયેલા એક્સ-રેમાં એના થાપાના ભાગમાં જૂનું ફ્રૅક્ચર હોવાનું બહાર આવ્યું હતું. આ ઈજામાંથી માંડ કળ વળે એ પહેલાં જ માર્ચ ૨૦૨૬માં આ સિંહ ફેલાઇન પેનલ્યુકોપેનિયા નામના અત્યંત ચેપી વાઇરલ રોગનો ભોગ બન્યો હતો, જેમાંથી એ સંપૂર્ણપણે સાજો થઈ શક્યો નહોતો.
ADVERTISEMENT
૨૦૨૬ના એપ્રિલ મહિનામાં એની આંખના ભાગમાં સોજો આવ્યો હતો અને એના જમણી તરફના બન્ને પગમાં ઊંડા ઘા જોવા મળ્યા હતા. બાવીસમી મેએ એને ઍમ્બ્યુલન્સમાં વધુ સારવાર માટે નાગપુર ખસેડવામાં આવ્યો હતો. અત્યારે આ ગંભીર બીમારીના ચોક્કસ મૂળ સુધી પહોંચવા માટે એનાં મેડિકલ સૅમ્પલ્સ ઍડ્વાન્સ લૅબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યાં છે અને નિષ્ણાતોની ટીમ એને બચાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે.
