કરોડો લોકોની શ્રદ્ધાની ચોરી થઈ હોવાનું કહીને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ભાવુક થયા
બાબા બાગેશ્વર
અયોધ્યાના રામ મંદિરમાં દાનમાં આવેલાં ચડાવા અને આભૂષણોની ચોરી તથા ગેરરીતિના મામલે દેશભરમાં રાજકારણ ગરમાયું છે. આ હાઈ-પ્રોફાઇલ વિવાદ વચ્ચે હવે પ્રખ્યાત કથાકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (બાબા બાગેશ્વર)નો આક્રોશ સામે આવ્યો છે. આ શરમજનક ઘટના પર તીખી પ્રતિક્રિયા આપતાં તેમણે કહ્યું હતું કે ‘આ લોકો આજના સમયના રાવણ છે. બસ, તેમનાં રૂપ બદલાઈ ગયાં છે. રાવણે તો માતા જાનકીનું હરણ કર્યું હતું, પરંતુ આ લોકોએ રામ મંદિરના દાનપાત્રમાંથી લાખો-કરોડો ભક્તોની પવિત્ર શ્રદ્ધા અને ભરોસાની ચોરી કરી છે.’
ભાવુક થઈને બાબા બાગેશ્વરે ઉમેર્યું હતું કે ‘આ મામલે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાઈ ચૂક્યો છે અને હજી વધુ તપાસ થશે તો અન્ય લોકો પણ પકડાશે એ નક્કી છે. રામ મંદિરના દાનની ચોરી કરનારાઓ સરકારી દંડ તો ભોગવશે જ, સાથે ભગવાનનો મહાદંડ પણ પામશે. તેમને બ્રહ્માંડમાંથી પણ કોઈ છોડાવી નહીં શકે.’
