જોકે BMC ગયા વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ઇશ્યુ કરાયેલા નિર્દેશનો અમલ કરવાનો પ્રયાસ કરી રહી છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના રખડતા કૂતરાઓ માટે શેલ્ટર બનાવવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના પગલાને કોઈ પ્રોત્સાહન નથી મળતું. ઍનિમલ વેલ્ફેર ગ્રુપ્સનું કહેવું છે કે BMCની કેટલીક શરતો, ખાસ કરીને નૉન-પ્રૉફિટેબલ સંસ્થાઓ આ શેલ્ટર ચલાવવાનો ખર્ચ ઉઠાવશે એવી અપેક્ષા રાખવી એ એક મોટો અવરોધ છે. એ ઉપરાંત રખડતા કૂતરાઓને સ્થળાંતર કરાવવાની કાર્યવાહી પ્રાણીઓ માટે યોગ્ય નથી.
જોકે BMC ગયા વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ઇશ્યુ કરાયેલા નિર્દેશનો અમલ કરવાનો પ્રયાસ કરી રહી છે. કોર્ટે સુધરાઈઓને શૈક્ષણિક સંસ્થાઓ, હૉસ્પિટલો, સ્ટેડિયમ અને રેલવે-સ્ટેશન જેવાં જાહેર સ્થળોએથી રખડતા કૂતરાઓને પકડીને એની નસબંધી કરવા અને કાયમી શેલ્ટરમાં શિફ્ટ કરવાનો આદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
કૂતરા કરડવાના કેસમાં થયેલા ચિંતાજનક વધારાને કારણે આ નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે આદેશ આપ્યો હતો કે નસબંધી પછી આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવેલા કૂતરાઓને એ જ વિસ્તારમાં પાછા ન છોડવા. ૨૦૨૪ના BMCના સર્વે મુજબ મુંબઈમાં ૯૦,૭૫૭ સ્ટ્રે ડૉગ હતા.
આ ચુકાદા પછી BMC કૂતરાઓનાં આશ્રયસ્થાન સ્થાપવા માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટરનરશિપ (PPP) મૉડલ લાગુ કરવામાં સંઘર્ષ કરી રહી છે. એણે આ હેતુ માટે મલાડ, માલવણી અને ચેમ્બુરમાં જમીન ઓળખી લીધી છે અને નૉન ગવર્નમેન્ટ ઑર્ગેનાઇઝેશન (NGO)ને શેલ્ટર -હોમ સ્થાપવા માટે એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ (EOI) સબમિટ કરવાનું આમંત્રણ આપ્યું છે. જોકે NGOની ઉદાસીનતાને કારણે BMCને EOI સબમિટ કરવાની સમયમર્યાદા લંબાવવાની ફરજ પડી છે.
જીવદયાપ્રેમીઓને શું અડચણ છે?
ઍનિમલ વેલ્ફર માટે કામ કરતા એક સેવાભાવીએ કહ્યું હતું કે ‘દરખાસ્ત પોતે જ ખામીયુક્ત છે. પરિચિત વાતાવરણમાંથી કૂતરાઓને દૂર કરવા અને તેમને શેલ્ટર-હોમમાં શિફ્ટ કરવાથી તેમને સ્ટ્રેસ અને સ્વાસ્થ્ય-સમસ્યા થઈ શકે છે. એ ડૉગીઓને આક્રમક પણ બનાવી શકે છે. અગાઉનાં ટેન્ડરોમાં કહેવામાં આવ્યું હતું કે અમારે સ્થળ અને સુવિધા બન્ને માટે ચુકવણી કરવી પડશે. ત્યાર બાદ BMCએ કહ્યું હતું કે અમે આ જગ્યાનો ખર્ચ ઉઠાવીશું, પરંતુ મોટો પડકાર માળખાગત સુવિધા વિકસાવવાનો રહે છે જે ઍનિમલ વેલ્ફેર ગ્રુપ માટે એક મોટો અવરોધ છે.’
