મલબાર હિલમાં વાલકેશ્વર ખાતે આવેલું બાણગંગા તળાવ સદીઓથી ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે
ફાઇલ તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા ઐતિહાસિક બાણગંગા તળાવના જીર્ણોદ્ધારની કામગીરી ત્રણ તબક્કામાં હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં ૧૬ ઐતિહાસિક દીપસ્તંભના જીર્ણોદ્ધારની સાથોસાથ તળાવની આસપાસનાં પથ્થરનાં પગથિયાંને રિપેર કરવાની, ભક્તિ-પરિક્રમાનો માર્ગ વિકસાવવાની અને પગથિયાં પરના અતિક્રમણને દૂર કરવાની બાબતનો સમાવેશ થાય છે.
મલબાર હિલમાં વાલકેશ્વર ખાતે આવેલું બાણગંગા તળાવ સદીઓથી ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે. એના વારસાના અગત્યને કારણે દેશમાંથી દર વર્ષે હજ્જારો ટૂરિસ્ટ્સ અહીં આવે છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ તળાવને રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
તળાવની આસપાસનાં મંદિરો, સમાધિ, ધર્મશાળા અને મઠ એને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવે છે.
વેન્કટેશ બાલાજી મંદિર, સિદ્ધેશ્વર શંકર મંદિર, રામમંદિર, બજરંગ અખાડા અને વાલકેશ્વર મંદિર બાણગંગા તળાવની આસપાસ આવેલાં છે.
‘ડી’ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શરદ ઉગાડેએ જણાવ્યું હતું કે શરૂઆતના તબક્કામાં તળાવના પ્રવેશદ્વાર પાસે ૧૩ ઝૂંપડાંઓમાં રહેતા લોકોને નજીકના રીહૅબિલિટેશન પ્રોજેક્ટમાં ખસેડવામાં આવશે.