અજિત પવારે પુણે જિલ્લાની ઇન્દાપુરની પ્રચારસભામાં ગઈ કાલે કહ્યું હતું કે ‘૨૦૦૪માં અમે કૉન્ગ્રેસ સાથેના ગઠબંધનમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા
અજીત પવાર
ગયા વર્ષે જૂનમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)માં ૪૧ વિધાનસભ્યોને સાથે રાખીને બળવો કરનાર અજિત પવારે પુણે જિલ્લાની ઇન્દાપુરની પ્રચારસભામાં ગઈ કાલે કહ્યું હતું કે ‘૨૦૦૪માં અમે કૉન્ગ્રેસ સાથેના ગઠબંધનમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. એ ચૂંટણીમાં જનતાએ NCPને કૉન્ગ્રેસ કરતાં વધુ મત આપતાં અમારા વધુ વિધાનસભ્યો ચૂંટાઈ આવ્યા હતા. એ સમયે કૉન્ગ્રેસના વરિષ્ઠ દિવંગત નેતા વિલાસરાવ દેશમુખે મને પૂછ્યું હતું કે, તમારા મુખ્ય પ્રધાન કોણ બનશે? છગન ભુજબળ, આર. આર. પાટીલ કે તમે પોતે? કારણ કે તેમને સોનિયા ગાંધીએ કહ્યું હતું કે મુખ્ય પ્રધાનપદ પર દાવો કરવાનો આપણને કોઈ અધિકાર નથી. ત્યાર બાદ અમારા પક્ષમાં મુખ્ય પ્રધાનપદ બાબતે ચર્ચા થશે એવું લાગતું હતું ત્યારે શરદ પવારે અમને કહ્યું કે આપણે મુખ્ય પ્રધાનપદ છોડી દઈએ, એના બદલામાં ચાર પ્રધાનપદ વધુ મેળવીશું, આપણને મુખ્ય પ્રધાનપદ નથી જોઈતું. આ સાંભળીને મેં મનમાં ને મનમાં કહ્યું હતું કે આ બરાબર નથી. જોકે શરદ પવારનો આદેશ અમે સાંભળ્યો અને તેમણે જેકોઈ આદેશ આપ્યો છે એના પર અમે ક્યારેય વાંધો નહોતો લીધો. અમે ક્યારેય ચૂં કે ચા નહોતું કર્યું. હવે મને લાગે છે કે અત્યારે જે કર્યું છે એ ૨૦૦૪માં કર્યું હોત તો સારું થાત.’