બોમ્બે હાઈકોર્ટે પુણે પોલીસને ત્રણ સપ્તાહ સુધી આ મામલે વધુ તપાસ કરવા પર રોક લગાવી છે.
બોમ્બે હાઈ કોર્ટ. ફાઇલ ફોટો
બોમ્બે હાઈકોર્ટે સોની પિક્ચર્સની વેબ સિરીઝ “સ્કેમ 1992 : ધ હર્ષદ મહેતા સ્ટોરી” પર નોંધાયેલી એફઆઈઆર રદ કરવા માટે દાખલ કરેલી અરજીની સુનાવણી કરતી વખતે, પુણે પોલીસને ત્રણ સપ્તાહ સુધી તપાસ કરવા પર રોક લગાવી છે. કરાડ અર્બન કો-ઓપરેટિવ બેન્ક (KUCB) દ્વારા માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો.
જસ્ટિસ એસ.એસ. શિંદે અને જસ્ટિસ એન.જે. જમાદારની ડિવિઝન બેન્ચે સોની પિક્ચર્સ અને વેબ સિરીઝનું નિર્માણ કરનારી એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના સીઇઓ સમીર નાયરની અરજીઓની સુનાવણી બાકી રહેલી તપાસ પર રોક લગાવી હતી.
ADVERTISEMENT
સોનીલીવ એપ્લિકેશનની માલિક કંપની સોની પિક્ચર્સ નેટવર્ક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામે એફઆઇઆરમાં બેન્કે આરોપ લગાવ્યો છે કે વેબ સિરીઝના ત્રીજા એપિસોડમાં બેકગ્રાઉન્ડમાં એક લોગો દર્શાવવામાં આવ્યો હતો જે તેના ટ્રેડમાર્કને મળતો આવે છે, જેના કારણે તેની “નાણાકીય, વ્યાપારી અને સામાજિક પ્રતિષ્ઠા”ને ગંભીર નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
ભારતીય દંડ સંહિતા (આઇપીસી), ટ્રેડમાર્ક એક્ટની જોગવાઇઓ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળના આરોપો સાથે બદનક્ષી માટે દંડપાત્ર ગુનાઓ માટે આ વર્ષે જુલાઇમાં પુણેના સહકાર નગર પોલીસ સ્ટેશનમાં બેન્ક દ્વારા એફઆઇઆર નોંધવામાં આવી હતી.
પિટિશનર નેટવર્કે જણાવ્યું હતું કે તેણે માત્ર એક સિરીઝ પ્રસારિત કરી રહી હતી જેની માલિકી અને નિર્માણ એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને તે “ધ સ્કેમ : હુ વોન, હુ લોસ્ટ, હું ગોટ અવે” નામના પુસ્તકનું સિનેમેટિક રૂપાંતરણ હતું.
સોની પિક્ચર્સ વતી સિનિયર કાઉન્સિલ શિરીષ ગુપ્તેએ રજૂઆત કરી હતી કે ટ્રેડમાર્ક એક્ટની કલમ 115 (4) મુજબ પોલીસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ (ડીવાયએસપી) કરતા ઓછી કક્ષાના અધિકારી દ્વારા તપાસ કરી શકાય નહીં. જોકે, હાલના કેસમાં તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) દ્વારા કરવામાં આવી રહી છે અને તે જ CrPC હેઠળ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસથી પણ સ્પષ્ટ થાય છે. ગુપ્તેએ વધુમાં દલીલ કરી હતી કે IPC હેઠળ કલમ 500 (માનહાનિ) હેઠળ નોંધાયેલ ગુનો પોલીસના અધિકાર ક્ષેત્રની બહારનો છે અને મેજિસ્ટ્રેટની પરવાનગી વગર ઇન્સ્પેક્ટર દ્વારા FIRના આધારે તપાસ કરી શકાતી નથી.
અરજદાર નાયર માટે વરિષ્ઠ વકીલ અમિત દેસાઈએ રજૂઆત કરી હતી કે સંબંધિત વેબ સિરીઝ ટ્રેડમાર્ક એક્ટ હેઠળ `માલ` ની વ્યાખ્યા હેઠળ આવતી નથી.
દરમિયાન પ્રતિવાદી બેન્કના વકીલ શેખર જગતાપે અરજીઓના જવાબમાં સોગંદનામું દાખલ કરવા માટે સમય માંગ્યો હતો.
બંને પક્ષોની રજૂઆતો સાંભળ્યા બાદ બેન્ચે પોલીસને સુધારાત્મક પગલાં લેવા કહ્યું હતું અને ત્યાં સુધી પોલીસ તપાસ કેવી રીતે ચાલુ રાખી શકે? તેવો પ્રશ્ન કર્યો હતો અને વચગાળાની રાહત આપી હતી.
કોર્ટે ત્રણ સપ્તાહ સુધી તપાસ પર રોક લગાવી અને નોંધ્યું હતું કે “અમને પ્રથમ દ્રષ્ટિએ અરજદારની રજૂઆતમાં બળ મળે છે કે IPC ની કલમ 500 હેઠળના ગુનાની પોલીસ દ્વારા તપાસ કરી શકાતી નથી. આ તબક્કે, વિસ્તૃત કારણો આપવાની જરૂર નથી. કાનૂની અડચણને કારણે તપાસ આગળ ચાલુ રાખી શકાતી નથી.” બેન્ચ 17 સપ્ટેમ્બરે અરજીઓ પર આગામી સુનાવણી કરશે.