Mankhurd Food Poisoning: આ મામલો સામે આવ્યા બાદ આ તમામ લોકોને તેમના સંબંધીઓ દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા
મોતની પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- આ લોકોએ રસ્તા પર તૈયાર કરવામાં આવેલ ચિકન શોરમા ખાધો હતો
- મંગળવારે સવારે એક તરુણનું મોત નીપજ્યું હતું. તે માત્ર 19 વર્ષનો હતો
- આવા ફેરિયાઓ રસ્તા પર જ લારી લઈને ત્યાં જ ખોરાક બનાવતા હોય છે
મુંબઈના માનખુર્દમાંથી ફરી એકવાર ચોંકાવનારી ઘટના (Mankhurd Food Poisoning) સામે આવી છે. અહીંના મહારાષ્ટ્ર નગર વિસ્તારમાં રહેતા એક યુવકનું ફૂડ પોઈઝનિંગના કારણે મોત નીપજ્યું હોવાની માહિતી મળી રહી છે.
બે દિવસ પહેલા વિસ્તારના ૧૦-૧૨ લોકોને ફૂડ પોઈઝનીંગ થયું હતું
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે આ વિસ્તારના કેટલાક લોકોએ બે દિવસ અગાઉ રસ્તા પર તૈયાર કરવામાં આવેલ ચિકન શોરમા ખાધો હતો. આ જ કારણોસર તે લેનાર તમામ સ્થાનિકોમાંથી 10થી 12 લોકોને ફૂડ પોઈઝનિંગ (Mankhurd Food Poisoning) થયું હતું.
આ ખાધા બાદ તે તમામને ઝાડા-ઊલટીની તકલીફ થવા લાગી હતી. તે તમામે ચિકન શોરમા ખાધો હતો અને તેને કારણે ઝેરી અસર પહોંચી હતી. આ મામલો સામે આવ્યા બાદ આ તમામ લોકોને તેમના સંબંધીઓ દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. એવા પણ અહેવાલ છે કે કેટલાક લોકોને મ્યુનિસિપલ હોસ્પિટલમાં સુદ્ધાં દાખલ કરવામાં આવ્યા હતા. વળી જે લોકોની તબિયત સ્થિતિ જણાઈ હતી તેમને અને જે લોકોને વધારે તકલીફ થઈ નહોતી તે તમામને રજા આપવામાં આવી હતી.
પણ, પ્રથમેશની તબિયતમાં કોઈ જ સુધારો જણાયો નહોતો
અન્યોની તબિયત તો ઠીક હતી પરંતુ મહારાષ્ટ્ર નગરમાં રહેતા પ્રથમેશ ભોકસેની હાલત ગંભીર જણાતી હતી. સતત બીજા દિવસે પણ તે હેરાન થઈ રહ્યો હતો. માટે જ તેને કેઈએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પ્રથમેશની તબિયત વધારે બગડી હતી અને મંગળવારે સવારે તેનું મોત નીપજ્યું હતું. તે માત્ર 19 વર્ષનો હતો. ટ્રોમ્બે પોલીસે આ યુવકના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે અને આ મામલે કેસ નોંધીને બે લોકોની ધરપકડ સુદ્ધાં કરવામાં આવી છે.
પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે
પોલીસ એ માટેની તપાસ કરી રહી છે કે ચિકન શોરમા બનાવવા માટેનું માંસ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને બાકીની સામગ્રી ક્યાંથી તૈયાર કરવામાં આવી હતી. આ જ બાબતનો વધુ ખુલાસો કરવા માટે પોલીસ ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી તપાસ કરી રહી છે. જોકે, અત્યારે મુંબઇમાં પણ આકરી ગરમી પડી રહી છે. ઉનાળામાં જ મોટેભાગે પાણીનું પ્રમાણ વધુ હોય તેવો ખોરાક ઝડપથી ખરાબ થઈ જતો હોય છે. જો આવા ખોરાકને લાંબા સમય સુધી બહાર રાખવામાં આવ્યા બાદ તેનું સેવન કરવામાં આવે તો તેનાથી ફૂડ પોઈઝનીંગ (Mankhurd Food Poisoning) થવાની સંભાવના રહે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં માનખુર્દના મહારાષ્ટ્ર નગર વિસ્તારમાં ફેરિયાઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. આવા ફેરિયાઓ રસ્તા પર જ લારી લઈને ત્યાં જ ખોરાક બનાવતા હોય છે. હવે આ રીતે તરુણનું મૃત્યુ થયા બાદ આ મામલા (Mankhurd Food Poisoning)એ ગંભીરતા સર્જી છે.