Illegal building collapses in Virar: વિરાર પૂર્વમાં રહેણાંક મકાન ધરાશાયી થતા અત્યાર સુધીમાં ૧૭ લોકો ઘાયલ થયા છે, હજી પણ બચાવ કામગીરી ચાલુ છે; સીએમ ફડણવીસે મૃતકોના પરિવારજનો માટે પાંચ લાખની જાહેરાત કરી
વિરારમાં ચાર માળની અનધિકૃત ઇમારત બાજુની ખાલી ચાલી પર તૂટી પડ્યા બાદ બચાવ કામગીરી ચાલી રહી છે (તસવીર સૌજન્યઃ પીટીઆઇ)
મહારાષ્ટ્ર (Maharashtra)ના પાલઘર (Palghar) જિલ્લાના વિરાર (Virar)માં ઇમારત ધરાશાયી થવાથી મૃત્યુઆંક વધીને ૧૭ થયો છે. ધરાશયી થયેલી ગેરકાયદેસર ઇમારતના (Illegal building collapses in Virar) બિલ્ડરની પણ ધરપકડ કરવામાં આવી છે.
બુધવારે ૨૬ ઓગસ્ટના રોજ સવારે ૧૨.૦૫ વાગ્યે વિરાર વિસ્તારના વિજય નગર (Vijay Nagar)માં, લગભગ ૫૦ ફ્લેટ ધરાવતા ચાર માળના રમાબાઈ એપાર્ટમેન્ટ (Ramabai Apartment)ના ૧૨ ફ્લેટ તેની બાજુમાં આવેલા ખાલી મકાન પર તૂટી પડ્યા હતા.
ADVERTISEMENT
આ દુર્ઘટનામાં ગઈકાલે ૧૨ લોકોના મોતની પુષ્ટિ થઈ હતી. આજે બચાવ કામગીરી દરમિયાન, વધુ પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૯ લોકો ઘાયલ થયા છે. અકસ્માત સમયે, ચોથા માળે એક વર્ષની બાળકીની જન્મદિવસની પાર્ટી ચાલી રહી હતી. આમાં છોકરી, તેની માતા અને ઘણા મહેમાનોનું પણ મૃત્યુ થયું હતું. નવ ઘાયલ લોકોની અને બચાવાયેલા લોકોની હાલ સારવાર ચાલી રહી છે. ટીમો કાટમાળમાં શોધખોળ કરી રહી છે કે શું બીજું કોઈ ફસાયેલું છે.
સ્થાનિક લોકોએ બિલ્ડર અને અધિકારીઓ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. લોકોએ માંગ કરી છે કે એક અનધિકૃત ઇમારતને આટલા બધા રહેવાસીઓને રહેવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી તેની તપાસ કરવામાં આવે. લોકોની ફરિયાદ પર, પોલીસે બુધવારે બિલ્ડરની ધરપકડ કરી હતી.
વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન (Vasai-Virar City Municipal Corporation - VVMC)ના અધિકારીઓ, મુંબઈ ફાયર વિભાગ (Mumbai Fire Department) અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (National Disaster Response Force - NDRF)ની ટીમ ગઈકાલથી ઘટનાસ્થળે કામ કરી રહી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર નવીનતમ આંકડા શેર કર્યા અને મૃતકોના પરિવારના સભ્યોને પાંચ લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે.
આ બાબતે પાલઘરના જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી (District Disaster Management Officer) વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે, રમાબાઈ એપાર્ટમેન્ટનો પાછળનો ભાગ બાજુની ચાલ પર પડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘ઘણા રહેવાસીઓ કાટમાળ નીચે ફસાયા હતા. વર્ષ ૨૦૧૨માં બનેલા રમાબાઈ એપાર્ટમેન્ટમાં ૫૦ ફ્લેટ છે અને જે ભાગમાં ભૂસ્ખલન થયું હતું તેમાં ૧૨ એપાર્ટમેન્ટ હતા. સાવચેતીના પગલા તરીકે, ઇમારતની આસપાસની તમામ ચાલી ખાલી કરાવવામાં આવ્યા છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.’
વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન (VVMC)ના એડિશનલ કમિશનર સંજય હિરવાડેએ જણાવ્યું હતું કે, ‘રહેવાસીઓનું કહેવું છે કે બે લોકો ગુમ છે અને તેમને શોધવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. અસરગ્રસ્ત પરિવારોને ચંદનસર સમાજ મંદિરમાં અસ્થાયી રૂપે રાખવામાં આવ્યા છે. તેમને ખોરાક, પાણી, તબીબી સહાય અને અન્ય આવશ્યક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.’

