અજિત પવારે મૅનિફેસ્ટો જાહેર કર્યો હતો, જેમાં તેમણે જાતિઆધારિત વસ્તીગણતરીની માગણીનું સમર્થન કર્યું હતું
અજીત પવાર
લોકસભાની ચૂંટણી માટે ગઈ કાલે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મૅનિફેસ્ટો જાહેર કર્યો હતો, જેમાં તેમણે જાતિઆધારિત વસ્તીગણતરીની માગણીનું સમર્થન કર્યું હતું. અજિત પવારે ચૂંટણીઢંઢેરો જાહેર કરતી વખતે ગઈ કાલે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વ. યશવંતરાવ ચવાણને ભારતરત્ન આપવાની માગણી કરવામાં આવશે એમ જણાવીને કહ્યું હતું કે ‘અમારી પાર્ટી જાતિ, પંથ અને ધર્મની આગળ વધીને દરેક વ્યક્તિને એક માણસના રૂપમાં જીવવાનો અધિકાર આપવામાં વિશ્વાસ કરે છે. સમાનતા અને એકતામાં માને છે. પાર્ટીને સમાજસુધારક સાને ગુરુજીએ આપેલા ‘દુનિયાને પ્રેમ આપવો જ એ જ સાચો ધર્મ છે’ મંત્રમાં ભરોસો છે. આપણે સમાજના વંચિત અને પાછળ રહી ગયેલા ઘટકોને મુખ્ય ધારામાં લાવવા પડશે. જનતા અમને સત્તામાં લાવવા માટે મતદાન કરશે તો અમે જાતિ આધારિત વસ્તીગણતરી કરવાની માગણી કરીશું.’
ઉલ્લેખનીય છે કે NCPના એક સમયના સહયોગી પક્ષ કૉન્ગ્રેસે દેશભરમાં જાતિઆધારિત વસ્તીગણતરી કરવા માટેની માગણી કરી છે.