Onion Crisis Maharashtra: મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં સતત ઘટાડાને કારણે ખેડૂતોમાં ભારે આર્થિક કટોકટી સર્જાઈ છે. ખેડૂતોને ઉત્પાદન ખર્ચ કરતા ઓછા ભાવ મળી રહ્યા હોવાથી તેમના પર દેવાનો બોજ વધી રહ્યો છે.
વિરોધ પક્ષનું આંદોલન
મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં સતત ઘટાડાને કારણે ખેડૂતોમાં ભારે આર્થિક કટોકટી સર્જાઈ છે. ખેડૂતોને ઉત્પાદન ખર્ચ કરતા ઓછા ભાવ મળી રહ્યા હોવાથી તેમના પર દેવાનો બોજ વધી રહ્યો છે. પાકને થયેલા નુકસાન, અચાનક વરસાદ અને વધતા ખર્ચને કારણે ઘણા ખેડૂતોની પરિસ્થિતિ અત્યંત મુશ્કેલ બની ગઈ છે, જેના કારણે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો પણ વધી રહ્યા છે.
નાશિક જિલ્લાના બાગલાણ તાલુકામાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ગલાબ નિકમ નામના ખેડૂતએ આર્થિક તંગી અને ઓછા ડુંગળીના ભાવના કારણે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ પાસે અંદાજે ત્રણ એકર જમીન હતી અને ખેતી દ્વારા પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અનિયમિત વરસાદથી તેમનો મોટો ડુંગળીનો પાક નાશ પામ્યો હતો, જ્યારે બચેલો પાક પણ બજારમાં ખૂબ ઓછા ભાવે વેચાયો હતો, જેના કારણે તેઓ ભારે દેવાના દબાણમાં આવી ગયા હતા.
ADVERTISEMENT
બીજી તરફ, બિડ જિલ્લાના ધરુર તાલુકાના એક ખેડૂત સંતોષ શિંગારે સોલાપુર માર્કેટમાં ડુંગળી વેચવા ગયા હતા, પરંતુ પરિવહન અને મજૂરી ખર્ચ મળીને અંદાજે રૂ. 1,500 ખર્ચ થયા બાદ તેમને માત્ર રૂ. 301 જ મળ્યા. આવી જ સ્થિતિમાં બીજા ખેડૂત સેશેરાવ તોડકરને પણ નુકસાન થયું, જ્યાં 12 ક્વિન્ટલ ડુંગળી વેચ્યા બાદ પણ તેમને વધારાના પૈસા ચૂકવવા પડ્યા.
આ સમગ્ર મુદ્દો હવે રાજકીય રંગ પકડતો જઈ રહ્યો છે. સ્વાભિમાની શેતકરી સંગઠનના નેતા રાજુ શેટ્ટીએ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે અને ડુંગળીના ભાવ રૂ. 12 પ્રતિ કિલો પર ખરીદી કરવાની માંગ કરી છે. બીજી તરફ, મહા વિકાસ આઘાડી (MVA) દ્વારા રાજ્યભરમાં આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. નાશિકમાં મુંબઈ–આગ્રા નેશનલ હાઈવે પર ‘રસ્તા રોકો’ આંદોલન દરમિયાન હજારો ખેડૂતો અને કાર્યકરો જોડાયા હતા, જેના કારણે લાંબા ટ્રાફિક જામ સર્જાયા.
આંદોલન દરમિયાન રોહિત પવાર, અંબાદાસ દાનવે અને હર્ષવર્ધન સપકલ સહિતના નેતાઓ પણ જોડાયા હતા, જોકે પરિસ્થિતિ તણાવપૂર્ણ બનતા પોલીસે તેમને અટકાયત કરી હતી.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે ડુંગળીની ખરીદી કિંમતમાં રૂ. 3.50નો વધારો કરીને રૂ. 15 પ્રતિ કિલો કરી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર કેન્દ્ર સાથે સતત સંપર્કમાં છે અને સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કરી રહી છે.
ખેડૂતો માટે ખેતી ચાલુ રાખવી મુશ્કેલ બની ગઈ છે
ખેડૂત નેતા રોહિત પવારે જણાવ્યું કે ડુંગળી ઉત્પાદનનો ખર્ચ રૂ. 18 થી રૂ. 20 પ્રતિ કિલો આવે છે, જ્યારે બજારમાં ભાવ માત્ર રૂ. 4 થી રૂ. 5 પ્રતિ કિલો સુધી ઘટી ગયા છે. આવી સ્થિતિમાં ખેડૂતો માટે ખેતી ચાલુ રાખવી મુશ્કેલ બની ગઈ છે.
ડુંગળીના ભાવને લઈને વધતા આક્રોશ વચ્ચે રાજ્યમાં આગામી દિવસોમાં વધુ મોટા વિરોધ પ્રદર્શનો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
