લોકસભાની ચૂંટણીમાં પત્તું કપાયા બાદ પૂનમ મહાજને કહ્યું...
પૂનમ મહાજન
મુંબઈ નૉર્થ સેન્ટ્રલ બેઠક પર બે વખત સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવેલાં પૂનમ મહાજનને આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ટિકિટ નથી આપી. ગઈ કાલે આ બેઠકમાં ઍડ્વોકેટ ઉજ્જવલ નિકમની જાહેરાત કરવામાં આવ્યા બાદ પૂનમ મહાજને સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને સૌનો આભાર માન્યો હતો. પોસ્ટમાં તેમણે લખ્યું કે ‘મને દસ વર્ષ એક સંસદસભ્ય તરીકે મુંબઈ નૉર્થ સેન્ટ્રલ બેઠકમાં સેવા કરવાની તક આપવામાં આવી એ બદલ BJP અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. મને એક સંસદસભ્ય તરીકે નહીં પણ એક પુત્રી તરીને સ્નેહ આપવા બદલ કુટુંબ સમાન જનતાની હું સદૈવ ઋણી રહીશ અને આ સંબંધ કાયમ રહેશે એવી મને આશા છે. મારો આદર્શ, મારા સ્વર્ગીય પિતા પ્રમોદ મહાજને મને રાષ્ટ્ર પહેલાં, પછી આપણે એ શીખવ્યું છે. આજીવન આ જ માર્ગ પર ચાલી શકું એવી હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું છં. મારા જીવનની દરેક ક્ષણ હંમેશાં દેશસેવા માટે સમર્પિત રહેશે.’