મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્ત્વવાળી મહાવિકાસ અઘાડી સરકારે લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓને માસિક આર્થિક સહાય આપવાનુ નક્કી કર્યુ છે.
મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે
લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓના હિતમાં મહારાષ્ટ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્ત્વવાળી મહાવિકાસ અઘાડી સરકારે લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓને માસિક આર્થિક સહાય આપવાનુ નક્કી કર્યુ છે. સરકાર તરફથી લઘુમતી વિકાસ વિભાગ છાત્રવાસમાં અભ્યાસ કરી રહેલા લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓને દર મહિને 3000-3500 રૂપિયાનું વિશેષ ભથ્થું તરીકે આપવામાં આવશે. રાજ્યના લઘુમતી વિભાગના પ્રધાન નવાબ મલિકના કાર્યલાયથી આ જાણકારી આપવામાં આવી છે.
ગત વર્ષે મહારાષ્ટ્રમાં મુસ્લિમ સમુદાય માટે 5 ટકા આરક્ષણનો મુદ્દો ઉઠ્યો હતો, પરંતુ બાદમાં તે મુદ્દો ઠંડો પડી ગયો હતો. નોંધનીય છે કે ગત વર્ષે મહારાષ્ટ્રના લઘુમતી મામલાના મંત્રી નવાબ મલિકે ઉદ્ધવ ઠાકરેને સરકારને પ્રદેશમાં 5 ટકા મુસ્લિમ આરક્ષણ પરત ખેંચવા માટે કાનુની સલાહ લેવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મુસ્લિમો માટે અનામત સુનિશ્ચિત કરવું એ રાજ્યમાં શાસક મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના સામાન્ય લઘુત્તમ કાર્યક્રમનો એક ભાગ છે, જે ગયા વર્ષે સત્તા પર આવ્યા પહેલા અઘાડી, શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ઘટકો દ્વારા સંયુક્ત રીતે ઘડવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
નવાબ મલિકે કહ્યું હતું કે મુસલમાનો માટે અનામતની વ્યાવસ્થા પાછી લાવવા માટે અમે કાનુની સલાહ લઈશું. હજી સુધી આ મુદ્દે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ નિશ્ચિત રીતે આ દિશામાં કઈંક પગલા લેવામાં આવશે તે કહેવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં 2014માં યોજાયેલ વિધાનસભા ચૂંટણી પહેલા જુન મહિનામાં પ્રદેશની તત્કાલિન કોંગ્રેસ એનસીપી ગઠબંધન સરકારે મુસ્લિમો માટે 5 ટકા અનામતની વ્યવસ્થા કરી હતી અને આ સંબંધિત વટહુકમ પણ જારી કરવામાં આવ્યો હતો.