Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વાંદરાઓના વધેલા ત્રાસે લોકોને બંધિયાર જીવન જીવતા કરી દીધા

વાંદરાઓના વધેલા ત્રાસે લોકોને બંધિયાર જીવન જીવતા કરી દીધા

28 October, 2021 09:45 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

ઘાટકોપર-ઈસ્ટમાં આવેલી એમ્બેસી સોસાયટીના સેક્રેટરીએ મેમ્બરોને ઘરનાં બારીબારણાં બંધ રાખવાની સૂચના આપી

ઘાટકોપર-ઈસ્ટના પંતનગર વિસ્તારની એમ્બેસી સોસાયટીની કમ્પાઉન્ડ વૉલ પર અને ફ્લૅટની બારી પર મજા માણી રહેલો વાંદરા.

ઘાટકોપર-ઈસ્ટના પંતનગર વિસ્તારની એમ્બેસી સોસાયટીની કમ્પાઉન્ડ વૉલ પર અને ફ્લૅટની બારી પર મજા માણી રહેલો વાંદરા.


છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી ઘાટકોપરમાં વાંદરાઓનો ત્રાસ વધી ગયો છે. પહેલાં આ વાંદરાઓ વિદ્યાવિહાર-ઈસ્ટના ચિત્તરંજનનગરમાં અને ‘ડી’ કૉલોનીમાં જ આવીને વસ્યા હતા. હવે આ વાંદરાઓ ઘાટકોપર-ઈસ્ટના પંતનગરમાં આચાર્ય અત્રે મેદાનની સામે નવી જ બનેલી એમ્બેસી સોસાયટીમાં પહોંચી ગયા છે જેને કારણે આ સોસાયટીના રહેવાસીઓએ બંધિયાર જીવન જીવવાની નોબત આવી છે. 
ત્રણ વર્ષ પહેલાં વિદ્યાવિહાર-ઈસ્ટના ચિત્તરંજનનગર અને ‘ડી’ કૉલોનીમાં નવથી દસ વાંદરાઓનો એક પરિવાર આવીને વસ્યો હતો. આ વાંદરાઓનો પરિવાર આ વિસ્તારના રહેવાસીઓનું ખાવાનું અને કપડાં લઈ જતો હતો. વાંદરાઓથી આ રહેવાસીઓ ભયંકર ત્રાસી ગયા હતા. તેમણે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટથી લઈને પ્રાણીપ્રેમીઓ જેવા અનેક લોકોની સહાય લીધી હતી, પણ તેમનો ત્રાસ દૂર થયો નહોતો. એક સમય એવો આવી ગયો કે આ વિસ્તારના રહેવાસીઓએ તેમની બાલ્કનીઓમાં મચ્છરોની જાળી લગાડવામાં આવે એવી રીતે વાંદરાઓ ઘરમાં ઘૂસી ન જાય એવી ગ્રિલ બેસાડવાની શરૂઆત કરી દીધી. 
સમય જતાં વાંદરાઓનો આ પરિવાર ઘાટકોપર-ઈસ્ટના રાજાવાડી, રામજી આસર લેન, વેસ્ટમાં કામા લેન, હાંસોટી લેન જેવા વિસ્તારોમાં જઈને તરખરાટ મચાવવા લાગ્યો. પ્રમોદ મહાજન ગાર્ડનની આસપાસની વાડીઓમાં અને ઓઘડભાઈ લેનમાં પણ આ વાંદરાઓ ક્યારેક બાળકો માટે મસ્તી તો ક્યારેક જોખમી બનવા લાગ્યા હતા. આ ત્રાસથી કંટાળેલા રહેવાસીઓ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરતા, પણ આ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સ્પૉટ પર પહોંચે એ પહેલાં જ વાંદરાઓ ત્યાંથી ગાયબ થઈને બીજા વિસ્તારમાં જતા રહેતા હોવાથી આ અધિકારીઓ આજ સુધી વાંદરાઓને પકડવામાં સફળ થયા નથી. 
આ અધિકારીઓ રહેવાસીઓને સલાહ આપતા જાય કે વાંદરાઓને ખાવાનું આપવાનું બંધ કરો અને બાળકોને કહો કે સંભાળીને રહે, પણ રહેવાસીઓએ ખાવાનું આપવાની જરૂર જ નહોતી પડતી અને વાંદરાઓ ઘરમાં ઘૂસીને ખાવાનું લઈ જતા હતા. 
આ બાબતની માહિતી આપતાં રાજાવાડીથી પંતનગરમાં રહેવા આવેલા ઘાટકોપરના સામાજિક કાર્યકર હરેશ અવલાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે દિવસથી અમુક વાંદરાઓ પંતનગરમાં આવી ગયા છે. આ વાંદરાઓ હવે નવી બનેલી એમ્બેસી સોસાયટીમાં ઘૂસી ગયા છે. વાંદરાઓ સોસાયટીમાં આવી જતાં તરત જ અમારી સોસાયટીના એક સક્રિય સભ્ય શશાંક મહેતાએ સોસાયટીના મેમ્બરોને સૂચના આપતાં કહ્યું હતું કે ‘આપણી સોસાયટીમાં ગ્રિલની વ્યવસ્થા ન હોવાથી બધા લોકો પોતાના ફ્લૅટનાં બારી-બારણાં બંધ રાખે. એને લીધે હવે અમારી સોસાયટીના મેમ્બરોએ ખુલ્લી હવા છોડીને વાંદરાઓને લીધે બંધિયાર જીવન જીવવાની નોબત આવી છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2021 09:45 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK