થાણેમાં રવિવાર તેમ જ સોમવારે પડેલા સાંબેલાધાર વરસાદે જનજીવન વેરવિખેર કરી નાખ્યું હતું. વેગવાન પવનોએ વૃક્ષો ધરાશાયી કર્યાં હતાં. હવામાન વિભાગ દ્વારા થાણે જિલ્લા માટે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યા બાદ તેમ જ થાણેમાં ફરવા માટે જાણીતો તલાવપાળી લેક ગઈ કાલે ઓવરફ્લો થયા પછી થાણે જિલ્લા પ્રશાસને મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જિલ્લામાં છેલ્લા ૩ દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદ અને ૮૦થી ૯૦ કિલોમીટરની ઝડપે ફૂંકાતા તેજ પવનને કારણે પૂર અને ભેખડો ધસી પડવાનું જોખમ વધી ગયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને થાણેના કલેક્ટર ડૉ. શ્રીકૃષ્ણ પાંચાલે નાગરિકોની સુરક્ષા માટે જિલ્લાનાં તમામ કિલ્લાઓ, ડૅમ, તળાવો, નદીકિનારા અને ધોધ જેવાં પ્રવાસી સ્થળોએ જવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. અગાઉ આવાં સ્થળોએ ડૂબી જવાથી અને અકસ્માતોને કારણે થયેલી જાનહાનિને ટાંકીને કલેક્ટરે લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને વહીવટી તંત્રને સહકાર આપવાની અપીલ કરી છે.
07 July, 2026 09:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent