ઉંદરડા, માખીઓ અને એક્સપાયરી ડેટ વટાવી ગયેલો માલ પકડાતાં મુંબઈની પ્રતિષ્ઠિત કે. રુસ્તમ આઇસક્રીમ પાર્લરનું લાઇસન્સ રદ થવું એ ખાવાના શોખીન મુંબઈકરો માટે બહુ મોટો ધ્રાસકો છે. આટલી જૂની અને બ્રૅન્ડેડ શૉપમાં મળતી ફૂડ-આઇટમો પણ જો સેફ નથી તો હવે ક્યાં જવું? બહાર ખાવાની બાબતમાં મુંબઈના ફૂડીઝ અત્યારે શું વિચારે છે અને કઈ સાવધાની તેઓ રાખવાના છે એ વિશે વાત કરીએ.
૭૩ વર્ષ જૂની મુંબઈની આઇકૉનિક આઇસક્રીમ શૉપ મનાતી કે. રુસ્તમ ઍન્ડ કંપનીનું ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા એકઝાટકે લાઇસન્સ રદ કરી દેવામાં આવ્યું. કારણ? બન્યું એવું કે ‘સેફ મહારાષ્ટ્ર, સેફ ફૂડ’ અભિયાન હેઠળ FDA દ્વારા મુંબઈનાં ૧૬ જેટલાં ફૂડ-આઉટલેટ્સમાં સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. એમાંથી ૧૦ આઉટલેટને ફૂડની ક્વૉલિટી સુધારવાની નોટિસ આપવામાં આવી અને છનાં તાત્કાલિક ધોરણે લાઇસન્સ રદ કરવામાં આવ્યાં છે. એમાં મુંબઈના પ્રતિષ્ઠિત આઇસક્રીમ પાર્લર કે. રુસ્તમનો પણ સમાવેશ થાય છે. આ સરપ્રાઇઝ વિઝિટ દરમ્યાન FDAને આઇસક્રીમ પાર્લરની અંદર અને સ્ટોરેજ એરિયામાં જીવતા ઉંદરો અને માખીઓ મળી આવ્યાં હતાં એટલું જ નહીં, આઇસક્રીમમાં વપરાતી કેટલીક ફ્લેવર્સ એક્સપાયરી ડેટ પાર કરી ગઈ હોવાનું સામે આવ્યું છે. આઇસક્રીમને સુરક્ષિત રાખવા માટે જરૂરી કોલ્ડચેઇન જાળવવામાં પણ બેદરકારી જોવા મળી હતી. છેલ્લા થોડાક સમયથી મહારાષ્ટ્ર FDAમાં આવેલા નવા કમિશનર તુકારામ મુંઢેએ ફૂડ-સેફ્ટીની બાબતમાં કડકાઈભર્યાં પગલાં લેવાનું શરૂ કર્યું છે અને ફૂડ-સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતાં
ફૂડ-આઉટલેટ્સ વિરુદ્ધ કડક પગલાં લેવાનું પણ શરૂ કર્યું છે. જોકે આ આખા ઘટનાક્રમે મુંબઈના ફૂડીઓની રાતોની ઊંઘ ખરાબ કરી દીધી છે. બહારનું સ્વાદિષ્ટ ખાવાના શોખીનોમાં એક ડર પેસી ગયો છે કે પોતે જ્યાં ખાઈ રહ્યા છે ત્યાંનું ખાવાનું સેફ તો હશેને? સેફ અને સ્વાદિષ્ટ ખાવું હોય તો હવે કોના પર ભરોસો કરવો? એનું કારણ એ કે બ્રૅન્ડેડ ફૂડ- આઉટલેટની ખાદ્ય સામગ્રીઓ અને હાઇજીન પણ હવે સવાલોના ઘેરામાં છે. મુંબઈના ફૂડ-લવર્સ અત્યારે શું વિચારી રહ્યા છે એ વિશે તેમની સાથે થયેલી વાતચીત પ્રસ્તુત છે.
13 July, 2026 09:11 IST | Mumbai | Ruchita Shah