ગઇકાલે જેમની પુણ્યતિથિ ગઈ તે આપણા મુંબઈના કવિ મેઘબિંદુને યાદ કરવા છે. તેમનું આખું નામ તો મેઘજી ખટાઉ ડોડેયા. તેમનો જન્મ નવમી ડિસેમ્બર, ૧૯૪૧ના રોજ. તેઓ કરાંચીથી સ્થળાંતર કરીને મુંબઈ આવ્યા હતા. એસએસસી સુધી ભણી ઓક્ટ્રોય ક્લાર્ક તરીકે નોકરી કરતા, પણ મન તો સાહિત્ય-સર્જનમાં રચ્યુંપચ્યું રહેતું. અચાનક ૨-૮-૨૧ને દિવસે તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી. પરંતુ તેમનાં સર્જનોથી સદાય ચિરંજીવ એવા આ કવિનાં દોઢસોથી પણ વધારે ગીતોને સ્વરાંકન પ્રાપ્ત થયું છે. તેમણે આકાશ નામે કાવ્યસંગ્રહ પણ આપેલો.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
04 August, 2026 09:43 IST | Mumbai | Dharmik Parmar