મિનિમમ બૅલૅન્સ ન હોય તો બૅન્કો પેનલ્ટી ફટકારે છે એ વિશે AAPના સંસદસભ્ય રાઘવ ચઢ્ઢાનો વાજબી સવાલ
રાઘવ ચઢ્ઢા
આમ આદમી પાર્ટી(AAP)ના સંસદસભ્ય રાઘવ ચઢ્ઢાએ દેશની બૅન્કિંગ-પ્રણાલી અને સામાન્ય લોકો પર લાદવામાં આવતા વિવિધ પ્રકારના દંડાત્મક શુલ્ક અંગે રાજ્યસભામાં ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં બૅન્ક-ખાતાં સામાન્ય નાગરિકો માટે આર્થિક સુરક્ષાનું સાધન બનવાને બદલે માનસિક અને આર્થિક તનાવનું કારણ બની રહ્યાં છે.
સંસદમાં રજૂ કરવામાં આવેલા ડેટાનો હવાલો આપતાં રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે છેલ્લાં ૩ વર્ષમાં ભારતીય બૅન્કોએ માત્ર ‘મિનિમમ બૅલૅન્સ’ (લઘુતમ સિલક) જાળવી ન શકવા બદલ ગ્રાહકો પાસેથી આશરે ૧૯,૦૦૦ કરોડ રૂપિયા દંડપેટે વસૂલ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે આ રકમ કોઈ મોટા ઉદ્યોગપતિઓ કે લોન લેનારા શ્રીમંતો પાસેથી નહીં પરંતુ એવા સામાન્ય લોકો પાસેથી લેવામાં આવી છે જેમના ખાતામાં પૂરતા પૈસા નહોતા.
ADVERTISEMENT
રાઘવ ચઢ્ઢાએ સવાલ ઉઠાવ્યો હતો કે શું ગરીબ હોવું એ ગુનો છે? તેમણે ઉદાહરણ આપતાં કહ્યું હતું કે ‘કોઈ ખેડૂત જ્યારે ભૂલથી મિનિમમ બૅલૅન્સ જાળવી શકતો નથી, કોઈ પેન્શનર દવા માટે પૈસા ઉપાડે છે અને બૅલૅન્સ ઓછું થઈ જાય છે અથવા દૈનિક વેતન મેળવનાર કોઈ મજૂરના ખાતામાં થોડાક રૂપિયા ખૂટે છે ત્યારે બૅન્કો તેમના પર દંડ લાદે છે.’
આશરે ૧૯,૦૦૦ કરોડ રૂપિયામાંથી ૮૦૦૦ કરોડથી વધુ રકમ સરકારી બૅન્કોએ અને બાકીની રકમ ખાનગી બૅન્કોએ વસૂલી છે.
મિનિમમ બૅલૅન્સ ઉપરાંત ATM ટ્રાન્ઝૅક્શન ફી અને SMS અલર્ટ જેવા છૂપા ચાર્જિસ પણ સામાન્ય માણસની બચતને ખતમ કરી રહ્યા છે.
રાઘવ ચઢ્ઢાએ સરકાર અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાને વિનંતી કરી છે કે મિનિમમ બૅલૅન્સ પર લાગતી પેનલ્ટી નાબૂદ કરવામાં આવે, જેથી બૅન્કિંગ પ્રણાલીમાં સામાન્ય જનતાનો વિશ્વાસ જળવાઈ રહે.
નાણાકીય સમાવેશીકરણનો અર્થ નાની બચતનું રક્ષણ કરવાનો હોવો જોઈએ, નહીં કે ઓછી સિલક બદલ ગરીબ ખાતેદારોને સજા આપવાનો એમ પણ રાઘવ ચઢ્ઢાએ ઉમેર્યું હતું.
19,000 - બૅન્કોએ છેલ્લાં ૩ વર્ષમાં આટલા કરોડ રૂપિયા મિનિમમ બૅલૅન્સ ન જાળવી શકવાની પેનલ્ટી તરીકે વસૂલ કર્યા છે
