ઇન્દોરમાં લોકસભાની ચૂંટણી ચોથા તબક્કામાં થવાની છે અને મતદાન ૧૩ મેએ યોજાવાનું છે.
અક્ષય બામ
કૉન્ગ્રેસે થોડા દિવસના સમયગાળામાં લોકસભા બેઠકોના બે ઉમેદવાર ગુમાવી દીધા છે. ગઈ કાલે મધ્ય પ્રદશની ઇન્દોર લોકસભા બેઠકના કૉન્ગ્રેસના ઉમેદવાર અક્ષય બામે તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી અને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ ગયા હતા. આ જાણકારી મધ્ય પ્રદેશના BJP નેતા કૈલાસ વિજયવર્ગીયે તેમની કારમાં લીધેલા સેલ્ફીને પોસ્ટ કરીને આપી હતી.
કૈલાસ વિજયવર્ગીયની પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ઇન્દોરની લોકસભા બેઠકના કૉન્ગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બામનું માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવ અને પ્રદેશ અધ્યક્ષ બી. ડી. શર્માના નેતૃત્વવાળી BJPમાં સ્વાગત છે.
ઇન્દોરમાં લોકસભાની ચૂંટણી ચોથા તબક્કામાં થવાની છે અને મતદાન ૧૩ મેએ યોજાવાનું છે. ગઈ કાલે ઉમેદવારી ખેંચવાનો છેલ્લો દિવસ હતો. જિલ્લા કલેક્ટર આશિષ સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે કૉન્ગ્રેસના બામ સહિત કુલ ત્રણ ઉમેદવારોએ તેમનાં નામ પાછાં ખેંચી લીધાં છે. આ પ્રક્રિયાની વિડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ગઈ કાલે અક્ષય બામ BJPના વિધાનસભ્ય રમેશ મેન્ડોલા સાથે કલેક્ટરની ઑફિસમાં નામ પાછું ખેંચી લેવા પહોંચ્યા હતા. કૉન્ગ્રેસે ૪૫ વર્ષના અક્ષય બામને BJPના વર્તમાન સંસદસભ્ય શંકર લાલવાણી સામે મેદાનમાં ઉતાર્યા હતા. મધ્ય પ્રદેશમાં ત્રણ વિધાનસભ્યો કૉન્ગ્રેસમાંથી BJPમાં જોડાઈ ગયા હતા એવા સમયે બામને ટિકિટ ફાળવવામાં આવી હતી.
સુરતમાં કૉન્ગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ઉમેદવારીપત્ર રદ થયા બાદ બીજા આઠ ઉમેદવારોએ પણ નામ પાછાં ખેંચી લીધાં હતાં અને ૨૨ એપ્રિલે BJPના મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કૉન્ગ્રેસે કુંભાણીને ૬ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.
અક્ષય બામના મુદ્દે હવે કૉન્ગ્રેસના સ્થાનિક નેતાઓ ભારે રોષમાં છે. તેઓ કેન્દ્રીય નેતાગીરીના ઉમેદવાર પસંદ કરવાના ધોરણ વિશે સવાલ પૂછી રહ્યા છે. એક સ્થાનિક નેતા દેવેન્દ્ર સિંહ યાદવે કહ્યું હતું કે ‘અક્ષય બામની ઉમેદવારી સામે અમે પાર્ટીના નેતાઓને ચેતવ્યા હતા. અમે કહ્યું પણ હતું કે તે ઉમેદવારી પાછી ખેંચી લેશે. આખી જિંદગી પાર્ટી માટે કામ કરનારા કાર્યકર્તાઓને બદલે બામ જેવા લોકોને ટિકિટ આપવામાં આવે ત્યારે કાર્યકરોને ભારે દુ:ખ થાય છે.’
ઉમેદવારીપત્રની ચકાસણી વખતે BJPના લીગલ સેલે અક્ષય બામના ઉમેદવારીફૉર્મમાં તેમની સામે કલમ ૩૦૭ (હત્યાનો પ્રયાસ) હેઠળ નોંધાયેલા ગુનાની નોંધ નહીં હોવાનો મુદ્દો ઉપાડ્યો હતો. જોકે ચૂંટણીઅધિકારીએ કહ્યું હતું કે આ ગુનો ઉમેદવારી નોંધવામાં આવી એ દિવસે નોંધાયો હોવાથી એની નોંધ લેવામાં નહીં આવે.