૨૧૦૦ની સાલ સુધીમાં ૧.૭ ડિગ્રી સેલ્સિયસથી ૩.૮ ડિગ્રી સેલ્સિયસ જેટલી ગરમી વધશે
સમુદ્રની ફાઇલ તસવીર
ભારતની દક્ષિણમાં આવેલા હિન્દી મહાસાગરનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે એમ કેટલીક ટોચની સંસ્થાઓએ કરેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે. જો તાપમાન વધવાનું આ જ રીતે ચાલુ રહ્યું તો એની ઘણી ગંભીર અસરો ભારતને થશે. વિશ્વના અન્ય મહાસાગરની તુલનામાં હિન્દી મહાસાગરનું તાપમાન જરા વધારે ગતિથી વધી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આના કારણે ભવિષ્યમાં અરબી સમુદ્ર અને એને લીધે ભારતને એની ગંભીર અસર પડશે.
પુણેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રૉપિકલ મેટ્રોલૉજી સિવાય ઑસ્ટ્રેલિયા, ફ્રાન્સ, અમેરિકા અને સ્વિટ્ઝરલૅન્ડની વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વધતા જતા કાર્બન ઉત્સર્જનને કારણે મહાસાગરોનું તાપમાન વધી રહ્યું છે. આ સાથે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર બરફ પીગળી રહ્યો છે અને સમુદ્રમાં પાણી વધી રહ્યું છે. આના કારણે ભવિષ્યમાં દુનિયામાં અજબ પ્રકારની વેધર જોવા મળી શકે એમ છે. આ રિસર્ચને એક ઈબુકમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. એમાં જણાવવામાં આવ્યા અનુસાર હિન્દી મહાસાગરનું તાપમાન ૧૯૫૦થી ૨૦૨૦ સુધીના સમયગાળામાં ૧.૨ ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી ગયું છે. રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે ૨૧૦૦ની સાલ સુધીમાં આ વધારો ૧.૭ ડિગ્રીથી ૩.૮ ડિગ્રી સેલ્સિયસ જેટલો થઈ શકે એમ છે. આના કારણે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં પણ તાપમાન વધી રહ્યું છે. ક્લાઇમેટ સાયન્ટિસ્ટ ડૉ. રૉક્સી મૅથ્યુ કોલનું કહેવું છે કે હિરોશિમામાં અણુબૉમ્બ ઝીંકવામાં આવ્યો ત્યારે જેટલી એનર્જી ઉત્પન્ન થઈ હતી એટલી એનર્જી દરેક સેકન્ડે, રોજ અને આખું વર્ષ ઉત્પન્ન થતી રહેશે.
ADVERTISEMENT
આ પ્રકારે ગરમી વધતી રહશે તો એને કારણે પૃથ્વી પર રહેતા જીવજંતુઓ પર એની માઠી અસર પડશે. સમુદ્રમાં તાપમાન વધવાથી એની અંદર રહેતી જૈવવિવિધતા ખતમ થશે. જળસ્તર વધવાથી ભૂમિનો એક ભાગ જલમગ્ન થશે. પૃથ્વી પર સીઝનનું ચક્ર પણ અસર પામશે અને ઇન્ડો-પૅસિફિક વિસ્તારમાં વેધર અલગ થવા લાગશે.