નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતાં શહેરાવ ઘાટ પાસે પદયાત્રીઓ માટે બનાવેલો કામચલાઉ બ્રિજ ધોવાઈને ડૂબી ગયો
નર્મદા પરિક્રમા કરવા માટે પદયાત્રીઓ માટે બનાવેલો કામચલાઉ કાચો બ્રિજ નર્મદાના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
નર્મદા પરિક્રમા પૂર્ણ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નર્મદા નદીમાં પાણી છોડવાને પગલે પાણીની આવક વધતાં શહેરાવ ઘાટ પાસે પદયાત્રીઓ માટે બનાવેલો કામચલાઉ બ્રિજ ધોવાઈને ડૂબી ગયો હતો અને સલામતીના કારણસર નર્મદા પરિક્રમા અટકાવી દેવામાં આવી છે.
ઇન્દોરસ્થિત નર્મદા કન્ટ્રોલ ઑથોરિટી દ્વારા રિવરબેડ પાવરહાઉસના સંચાલન માટે ૨૯ એપ્રિલે સરદાર સરોવર નર્મદા ખાતેથી રિવરબેડ પાવરહાઉસ શરૂ કરાતાં ૩૦,૦૦૦ ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને કારણે નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો આવરો થયો છે. શહેરાવ ઘાટ ખાતે બનાવેલો કામચલાઉ કાચો બ્રિજ પાણીમાં સંપૂર્ણપણે ધોવાઈને ગરકાવ થઈ ગયો છે એને લીધે પરિક્રમા પર ટેમ્પરરી રોક લગાવી દીધી છે. બૅરિકેડ્સ પણ પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. આ ઉપરાંત નદીકિનારે ઊભા કરાયેલા પેગોડામાં પાણી ભરાઈ ગયાં છે. જેટી અને કિનારા પર પાણી ફરી વળતાં નાવ ચલાવવી જોખમી બની ગઈ છે. નર્મદા નદીના પટમાં કોઈ પણ અવરજવર ન કરે એ માટે તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ સહિતના અધિકારીઓ તેમ જ નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સની ટીમ તેમ જ કેટલાક સાધુ-સંતે નર્મદા નદીનું નિરીક્ષણ કર્યું હતું અને પરિક્રમા કરવા ઇચ્છતા શ્રદ્ધાળુઓને બાય રોડ કે વૈકલ્પિક માર્ગે પરિક્રમા કરવાનું હિતાવહ ગણાવ્યું હતું.