ઝારખંડના દસમા ધોરણના બે સ્ટુડન્ટ્સે શરૂ કરી વૈષ્ણોદેવી સુધીની ૨૫૦૦ કિલોમીટરની સ્કેટિંગયાત્રા, કરે છે સનાતન ધર્મનો પ્રચાર
આ રહ્યા એ ૨ બે સ્ટુડન્ટ્સ
ઝારખંડના કોડર્મા જિલ્લાના દસમા ધોરણના બે સ્ટુડન્ટ્સે બોર્ડની પરીક્ષા આપ્યા બાદ તેમના વતનથી જમ્મુના કટરામાં આવેલા માતા વૈષ્ણોદેવી ધામ સુધીની ૨૫૦૦ કિલોમીટરની યાત્રા રોલર-સ્કેટિંગ દ્વારા શરૂ કરી છે અને યાત્રાના ૧૪મા દિવસે તેઓ ઉત્તર પ્રદેશના મૈનપુરી સુધી પહોંચી ગયા છે. સનાતન ધર્મના પ્રચાર માટે શરૂ કરેલી તેમની આ યાત્રા સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. તેઓ રોજ ૭૦ કિલોમીટરનું અંતર કાપે છે અને ૩૦ દિવસમાં વૈષ્ણોદેવી પહોંચવાની નેમ ધરાવે છે. તેમનાં માતા-પિતાએ આવી યાત્રા કરવાની ના પાડી હતી, પણ આ બે જણ તેમને મનાવીને યાત્રા પર નીકળી ગયા છે અને આ માટે પાંચ મહિના પહેલાં જ તેમણે વિચાર કર્યો હતો. એક સ્ટુડન્ટ રંજન મેહતાએ કહ્યું હતું કે ઘણા લોકો સનાતન ધર્મને બદનામ કરવા માટે દુર્ભાવનાપૂર્ણ વિડિયો બનાવે છે, પરંતુ અમે માતા વૈષ્ણોદેવીનાં દર્શન કરીને આવા લોકોમાં જાગૃતિ લાવવા માગીએ છીએ.
