એશિયાની સૌથી લાંબી ઝોજિલા ટનલમાં બ્રેકથ્રૂ: ૭૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૧૧,૫૭૮ ફુટની ઊંચાઈએ ૧૪.૫ કિલોમીટર લાંબી ટનલના કામમાં ઐતિહાસિક સિદ્ધિ: વાહનવ્યવહાર માટે અઢી વર્ષમાં ખોલવામાં આવશે
જમ્મુ અને કાશ્મીરને લદ્દાખ સાથે જોડતી ઝોજિલા ટનલનું અંતિમ બ્લાસ્ટિંગ ગઈ કાલે કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી, મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લા તથા જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા હાજર રહ્યા હતા.
જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીરને લદ્દાખ સાથે રોડમાર્ગે જોડવા માટે એશિયાની સૌથી લાંબી ઝોજિલા ટનલમાં બ્રેકથ્રૂ થઈ ગયું છે. આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ અને વાહનવ્યવહાર ખાતાના પ્રધાન નીતિન ગડકરી, જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઉમર અબદુલ્લા અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા આ ઐતિહાસિક પળના સાક્ષી બન્યા હતા. આ સાથે કાશ્મીર અને લદ્દાખ વચ્ચે ઑલ-વેધર રોડ બનાવવાના ૬૦ વર્ષના સપનાને સાકાર કરવામાં હવે થોડો સમય લાગશે. આ ક્ષણે મનોજ સિંહાએ ખુશી વ્યક્ત કરી હતી અને નીતિન ગડકરીએ ટનલની ઉપયોગિતા જ જણાવી હતી.
આ મુદ્દે ગડકરીએ જણાવ્યું હતું કે ‘આ બ્રેકથ્રૂ ભારતીય એન્જિનિયરિંગ ઇતિહાસમાં સુવર્ણ અવસર છે. આ ટનલ ૧૪.૫ કિલોમીટર લાંબી છે અને સ્ટેટ ઑફ ધ આર્ટ છે. આ એશિયાની સૌથી લાંબી ટનલ છે અને વર્લ્ડના ઇતિહાસમાં પણ નંબર વન બનશે. આ લેહ અને લદ્દાખના લોકો માટે લાઇફલાઇન બનશે.’
એન્જિનિયરો અને વર્કરોની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે ‘અહીં લગભગ ત્રણથી ચાર હજાર મીટરની ઊંચાઈ છે. તાપમાન માઇનસ ૪ ડિગ્રી રહે છે. આવી ઠંડીમાં પણ એન્જિનિયરો, વર્કરો, કૉન્ટ્રૅક્ટરો અને ડૉક્ટરોએ ઘણી મહેનત કરી છે. આ ટનલ વર્લ્ડ ક્લાસ સેફટી સ્ટાન્ડર્ડથી બનાવવામાં આવી છે.’
ADVERTISEMENT
અઢી વર્ષમાં જનતા માટે ખુલ્લી મુકાશે
૭૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૧૧,૫૭૮ ફુટની ઊંચાઈએ ૧૪.૫ કિલોમીટર લાંબી આ ટનલમાં ફાઇનલ બ્રેકથ્રૂ સાથે પહાડના બેઉ છેડેથી થતું ટનલિંગ કામ પૂર્ણ થયું છે. હવે એમાં રોડ બનાવવાનું, લાઇટિંગનું CCTV કૅમેરા ફિટ કરવાનું અને આધુનિક સુરક્ષા-પ્રણાલીનું કામ કરવામાં આવશે જેને બેથી અઢી વર્ષ લાગશે. આ ટનલ શરૂ થઈ જતાં લદ્દાખ દેશના અન્ય હિસ્સા સાથે બારેબાર મહિના જોડાયેલું રહેશે. હાલમાં શિયાળામાં છથી ૭ મહિના લદ્દાખ રોડમાર્ગે કટ-ઑફ થઈ જાય છે.
ટનલનું મહત્ત્વ
૧૯૯૯માં થયેલા કારગિલ યુદ્ધ વખતે સરકાર અને જનતાએ આ ટનલની જરૂરિયાતને અનુભવી હતી. આ ટનલ દ્વારા સૈનિકો અને લશ્કરી ઉપકરણોની અવરજવર સુલભ બનશે.
