કાઠમાંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ (TIA) પર શૌર્યા ઍરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હતું. પ્લેન ટેક ઑફ કર્યાની થોડી જ મિનિટોમાં રનવે પરથી સરકી જતાં તેમાં આગ લાગી હતી જેના કારણે હવામાં ધુમાડાનો મોટો ગોળો ફેલાઈ ગયો હતો. આ દુ:ખદ વિમાન દુર્ઘટનામાં 19 લોકોમાંથી 15 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ક્રૂ અને ટેક્નિકલ સ્ટાફ સહિત મુસાફરો પોખરા જઈ રહેલા શૌર્યા એરલાઈન્સના વિમાનમાં સવાર હતા ત્યારે તેમાં આગ લાગી હતી. ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર બુધવારે સવારે 11 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. આગ ઓલવવા અને પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ફાયર ફાઇટર અને સુરક્ષા કર્મચારીઓને ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓ અકસ્માતના કારણની તપાસ કરી રહ્યા છે અને નુકસાનની હદનું મૂલ્યાંકન કરી રહ્યા છે. અહેવાલ મુજબ, શૌર્યા એરલાઇન્સની ફ્લાઇટ હિમાલયન પ્રજાસત્તાકમાં એક મહત્વપૂર્ણ પર્યટન કેન્દ્ર પોખરા તરફ જઈ રહી હતી.