BJPમાંથી રાજીનામું આપ્યા બાદ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની વિચારધારા આધારિત મંચની જાહેરાત, ગણતરીના કલાકોમાં ૧૫ લાખ લોકો જોડાયા
કે. અન્નામલાઈ
ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે છેડો ફાડ્યાના થોડા જ દિવસોમાં તામિલનાડુ BJPના ભૂતપૂર્વ અધ્યક્ષ કે. અન્નામલાઈએ પોતાની નવી પૉલિટિકલ મૂવમેન્ટ શરૂ કરી દીધી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના વિચારો પર આધારિત આ નવી પહેલને શરૂઆતમાં જ જબરદસ્ત સમર્થન મળ્યું છે. લૉન્ચ થયાના ગણતરીના કલાકોમાં જ ૧૫ લાખથી વધુ લોકો આ મૂવમેન્ટ સાથે જોડાઈ જતાં તામિલનાડુના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ભૂતપૂર્વ IPS ઑફિસર અન્નામલાઈએ પાંચમી જૂને BJP સાથેનો નાતો ઔપચારિક રીતે તોડી નાખ્યો હતો. નેતૃત્વ સાથેના વૈચારિક મતભેદોને કારણે રાજીનામું આપ્યા બાદ હવે તેમણે ‘વી ધ લીડર’ નામનું નવું કૅમ્પેન શરૂ કર્યું છે. એ અંતર્ગત કોઇમ્બતુરમાં એક તાલીમ અને સંશોધન સંસ્થા ઊભી કરવામાં આવશે જ્યાં યુવાનોને લીડરશિપ અને પબ્લિક પૉલિસી પર તાલીમ આપવામાં આવશે.
ADVERTISEMENT
વંશવાદ અને વ્યક્તિવાદની સિસ્ટમ ખતમ કરવાનો ઉદ્દેશ
અન્નામલાઈએ જણાવ્યું હતું કે મંચનો મુખ્ય ઉદ્દેશ વંશવાદ અને વ્યક્તિપૂજાની સિસ્ટમ ખતમ કરીને સામાન્ય લોકોને રાજકારણના કેન્દ્રમાં લાવવાનો છે. ૨૦૨૦માં પોલીસ-સર્વિસ છોડીને રાજકારણમાં પ્રવેશેલા અન્નામલાઈએ સ્પષ્ટ કર્યું છે કે મંચ લોકસભાની આગામી ચૂંટણીમાં પણ ઝંપલાવશે અને પબ્લિકનું સાચું પ્રતિનિધિત્વ કરતું નવું રાજકીય નેતૃત્વ તૈયાર કરશે.
