Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



અજરામર મરાઠી નાટક 'નટસમ્રાટ'નું ગુજરાતી ભાષામાં નાટ્યરૂપાંતરણ

21 August, 2026 02:27 IST | Mumbai

અજરામર મરાઠી નાટક 'નટસમ્રાટ'નું ગુજરાતી ભાષામાં નાટ્યરૂપાંતરણ

મહારાષ્ટ્ર સરકારના સાંસ્કૃતિક કાર્ય વિભાગ હેઠળ કાર્યરત મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના વિકાસ માટે વિવિધ ઉપક્રમો હાથ ધરે છે. સાહિત્ય, અનુવાદ, પરિસંવાદ, નાટ્યપ્રયોગ, ચર્ચાસત્રો તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી વિવિધ ભાષા અને સંસ્કૃતિના લોકોને એકસાથે લાવવાનું મહત્વપૂર્ણ કાર્ય અકાદમી કરી રહી છે. આ જ ઉપક્રમોના એક ભાગરૂપે, મરાઠી સાહિત્યજગતના વરિષ્ઠ સાહિત્યકાર વિ. વા. શિરવાડકર (કુસુમાગ્રજ) દ્વારા લખાયેલા પ્રસિદ્ધ નાટક ‘નટસમ્રાટ’નો ગુજરાતી ભાષામાં અનુવાદિત નાટ્યપ્રયોગ પ્રથમ વખત રંગભૂમિ પર રજૂ કરવામાં આવી રહ્યો છે.

મરાઠી રંગભૂમિના સૌથી લોકપ્રિય અને પ્રસિદ્ધ નાટકોમાં ‘નટસમ્રાટ’ એક મહત્વપૂર્ણ નાટક છે. અનેક વર્ષોથી આ નાટકે પ્રેક્ષકોના હૃદયમાં વિશેષ સ્થાન બનાવ્યું છે. કલાકારના જીવનનો સંઘર્ષ, માનવીય સંબંધો, સફળતા-નિષ્ફળતા અને લાગણીઓનું સુંદર ચિત્રણ આ નાટકમાં જોવા મળે છે. કુસુમાગ્રજ દ્વારા લખાયેલું આ નાટક મરાઠી સાહિત્યની એક અમૂલ્ય ધરોહર માનવામાં આવે છે. આ નાટકનું ગુજરાતી રૂપાંતરણ રજૂ કરવા પાછળનો હેતુ મરાઠી સાહિત્યની સમૃદ્ધ પરંપરા અને તેમાં રહેલાં મૂલ્યોને વધુમાં વધુ વાચકો અને પ્રેક્ષકો સુધી પહોંચાડવાનો છે.

‘નટસમ્રાટ’ નાટક ૧૯૭૦માં પ્રકાશિત થયા બાદ મરાઠી રંગભૂમિ પર એક સીમાચિહ્નરૂપ નાટક સાબિત થયું. છેલ્લા પાંચ દાયકાથી વધુ સમય દરમિયાન આ નાટકના હજારો પ્રયોગો રજૂ થયા છે અને અનેક પેઢીના રસિકોએ તેને ઉત્સ્ફૂર્ત પ્રતિસાદ આપ્યો છે. ડૉ. શ્રીરામ લાગૂ, દત્તા ભટ, ચંદ્રકાંત ગોખલે, મોહન જોશી અને વિક્રમ ગોખલે જેવા દિગ્ગજ કલાકારોએ ગણપતરાવ બેલવલકરની ભૂમિકા ભજવીને આ નાટકની લોકપ્રિયતામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. આજે પણ આ નાટકને મરાઠી રંગભૂમિની સર્વોચ્ચ અને સૌથી પ્રભાવશાળી કલાકૃતિઓમાંની એક માનવામાં આવે છે.

આ ગુજરાતી અનુવાદિત નાટ્યપ્રયોગનો ઉદ્ઘાટન સમારોહ શનિવાર, તા. ૨૨ ઑગસ્ટ ૨૦૨૬ના રોજ સાંજે ૭.૦૦ વાગ્યે લઘુ નાટ્યગૃહ, રવીન્દ્ર નાટ્ય મંદિર, પ્રભાદેવી, મુંબઈ ખાતે યોજાશે.

આ વિશેષ ઉદ્ઘાટન સમારોહમાં માનનીય મંત્રી શ્રી આશિષ શેલાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તેમજ સાંસ્કૃતિક કાર્ય વિભાગના સચિવ ડૉ. કિરણ કુલકર્ણીની પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે. માનનીય મહાનુભાવોના હસ્તે નાટ્યપ્રયોગનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મરાઠી અને ગુજરાતી બંને ભાષાઓ વચ્ચેના સાંસ્કૃતિક તથા સાહિત્યિક આદાન-પ્રદાનને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ ઉપક્રમ મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પ્રથમ નાટ્યપ્રયોગ માત્ર આમંત્રિતો માટે રહેશે. આ નાટકના રાજ્યભરમાં વધુ ૯ પ્રયોગો યોજવામાં આવશે.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK