Bhuleshwar News: ભાયખલાથી ભુલેશ્વર લઇ જવાઇ રહેલી ૨૨ ફૂટ ઊંચી બાપ્પાની પ્લાસ્ટર ઓફ પેરિસ (PoP)ની મૂર્તિ અચાનક એક તરફ નમી પડી હતી. આટલી મોટી મૂર્તિ નમી પડતાં બે લોકોનાં મોત થયાં છે.
હાદસા બાદ વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. (તસવીર- ખાસ વ્યવસ્થા દ્વારા)
થોડાક જ દિવસોમાં મુંબઈમાં ગણેશોત્સવની ધામધૂમ શરૂ થઇ જશે. હાલ અનેક પંડાલોમાં બાપ્પાની મૂર્તિઓને લઇ જવાઈ રહી છે. ઠેર ઠેર બાપ્પાના આગમનની સવારીઓ જોવા મળી રહી છે, આ વચ્ચે જ મુંબઈમાં એક મોટી કરુણાંતિકા (Bhuleshwar News) સર્જાઇ છે. સાઉથ બોમ્બેના ભુલેશ્વરમાં ગઇકાલે રાત્રે `ભુલેશ્વરચા રાજા`ની આગમનયાત્રા નીકળી હતી. આ યાત્રામાં અનેક ગણેશભક્તો જોડાયા હતા. વાજતે-ગાજતે બાપ્પાને પંડાલમાં લઇ જવાઈ રહી હતી તેવે સમયે એક મોટી દુર્ઘટના થઇ હતી. ભાયખલાથી ભુલેશ્વર લઇ જવાઇ રહેલી ૨૨ ફૂટ ઊંચી બાપ્પાની પ્લાસ્ટર ઓફ પેરિસ (PoP)ની મૂર્તિ અચાનક એક તરફ નમી પડી હતી. આટલી મોટી મૂર્તિ નમી પડતાં બે લોકોનાં મોત થયાં છે, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઇન્જર્ડ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
રસ્તા પર ખાડો હતો કે પછી..
ADVERTISEMENT
આ હાદસો ગઇકાલે રાત્રે આશરે ૧૦થી ૧૧ વાગ્યાના સુમારે ભુલેશ્વરના (Bhuleshwar News) જય અંબે ચોક, કબૂતરખાના પાસે બાલારામ મર્ચન્ટ રોડ પર બન્યો હતો. બાપ્પાના મંડપથી ફક્ત ૫૦થી ૬૦ મીટરની દૂરી પર જ આ હાદસો થયો હતો. પ્રાથમિક તપાસ અને મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર રસ્તા પર કોઈ ખાડા નહોતા પરંતુ મૂર્તિનું અચાનકથી સંતુલન ગબડી જવાને લીધે જ આ દુર્ઘટના સર્જાઈ છે.
ઘટના બાદ તમામ ઇન્જરર્ડ લોકોને તાત્કાલિક નજીકની હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ૩૩ વર્ષના સંકેત નેવશેને રિલાયન્સ હૉસ્પિટલમાં અને ૩૦ વર્ષીના બ્રિજેશ હેમંત જોશીને જીટી (GT) હૉસ્પિટલમાં લઇ જતાં જ મૃત જાહેર કરવામાં આવતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. તે ઉપરાંત જીટી હૉસ્પિટલમાં એડમિટ ૩૮ વર્ષના વૈભવ ઘેનંદ અને ૨૫ વર્ષના પવન ચૌરસિયાની કન્ડિશન સ્ટેબલ છે. જ્યારે જેજે (JJ) હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલ ત્રણ ઇન્જર્ડ ગણેશભક્તોમાં ૫ વર્ષની લાવણ્યા ગાનેર, સાત વર્ષની દિવ્યા ગાનેર અને ૨૬ વર્ષના કુણાલ કાશીદની કન્ડિશન પણ સ્ટેબલ છે, અને કોઈ ચિંતાનું કારણ ન હોવાનું ડૉક્ટર્સે (Bhuleshwar News) જણાવ્યું છે.
ઘટના (Bhuleshwar News)ની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ, ટ્રાફિક પોલીસ, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અને બીએમસી (BMC) વોર્ડ સ્ટાફ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ સાથે જ એ વાતની પણ નોંધ લેવી રહી કે મુંબઈ હાઈકોર્ટે પીઓપી (PoP) મૂર્તિઓના વિસર્જન અને ઊંચાઈ સંદર્ભે માર્ગદર્શિકા બહાર પાડેલી છે, જેમાં ૬ ફૂટથી વધુ ઊંચી મૂર્તિઓ માટે ખાસ વ્યવસ્થાના આદેશ અપાયેલા છે. જોકે, મુંબઈમાં અપવાદરૂપે આવી વિશાળ મૂર્તિઓને મંજૂરી આપવામાં આવે છે, પણ આ પ્રકારના એક્સિડન્ટ્સને કારણે મૂર્તિઓની સુરક્ષા અને ઊંચાઈ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. આ મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
