Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > આ વખતે રેપો રેટનો ઘટાડો ૫૦ બેસિસ પૉઇન્ટ, ઉમ્મીદ સે દુગના

આ વખતે રેપો રેટનો ઘટાડો ૫૦ બેસિસ પૉઇન્ટ, ઉમ્મીદ સે દુગના

Published : 07 June, 2025 09:28 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લોન લેનારાઓને ફાયદો થશે, જોકે બચતકર્તાઓ અને થાપણદારોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે

ગઈ કાલે રેપો રેટનો અપેક્ષા કરતાં વધારે ઘટાડો જાહેર કર્યા પછીની પ્રેસ-કૉન્ફરન્સમાં RBIના ગવર્નર સંજય મલ્હોત્રા.

ગઈ કાલે રેપો રેટનો અપેક્ષા કરતાં વધારે ઘટાડો જાહેર કર્યા પછીની પ્રેસ-કૉન્ફરન્સમાં RBIના ગવર્નર સંજય મલ્હોત્રા.


રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ની છ સભ્યોની મૉનિટરી પૉલિસી કમિટી (MPC)એ રેપોરેટમાં અપેક્ષા કરતાં ડબલ, ૫૦ બેસિસ પૉઇન્ટનો મોટો ઘટાડો કરીને ૫.૫૦ ટકા કર્યો છે જે ફેબ્રુઆરીથી સતત ત્રીજો ઘટાડો છે. ફેબ્રુઆરીમાં અને એપ્રિલમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. રેપો રેટ એટલે એ રેટ જેના પર RBI બૅન્કોને પૈસા ધીરે છે. MPCના આ પગલાનો હેતુ વૃદ્ધિની સંભાવનાઓને વેગ આપવાનો છે કારણ કે ફુગાવો ૪ ટકાના લક્ષ્યાંકથી નીચે રહે છે. રેપોરેટ ઘટાડવાથી લોન લેનારાઓ અને ખાસ કરીને હોમલોન લેનારાઓને ફાયદો થશે. જોકે બીજી તરફ થાપણદારો અને બચતકર્તાઓને આગામી મહિનાઓમાં તેમની બૅન્ક ફિક્સ્ડ ડિપોઝિટ પર ઓછું વળતર મળશે.


RBIએ બૅન્કોના કૅશ રિઝર્વ રેશિયોમાં ૧૦૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરીને ૩ ટકા કર્યો છે, જેનાથી બૅન્કિંગ સિસ્ટમમાં ૨.૫ લાખ કરોડ રૂપિયા છૂટા થશે.



RBIના ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વ હેઠળની MPCએ આર્થિક વિકાસને ટેકો આપવા માટે એના નીતિગત વલણને અકૉમોડેટિવથી ન્યુટ્રલ કર્યું છે. RBIના આ દરઘટાડાના નિર્ણયથી ઉધાર અને રોકાણને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે, જેનાથી વૃદ્ધિદર વધશે. પૉલિસી પૅનલે વિકાસદરનો અંદાજ ૬.૫ ટકા જાળવી રાખ્યો હતો, પરંતુ ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવાનો દર ૩.૭ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.


રેપોરેટમાં ઘટાડો શા માટે?

૫૦ બેસિસ પૉઇન્ટના દરઘટાડાનું મુખ્ય પરિબળ રીટેલ ફુગાવામાં ઘટાડો છે. ઑલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI)માં વાર્ષિક ફેરફારો દ્વારા માપવામાં આવેલો મુખ્ય ફુગાવો એપ્રિલમાં ૩.૨ ટકા થયો હતો, જે જુલાઈ ૨૦૧૯ પછીનો સૌથી નીચો છે અને જે માર્ચમાં ૩.૩ ટકા હતો. ખાદ્ય પદાર્થોના ભાવમાં સતત ઘટાડાને કારણે CPIમાં ઘટાડો થયો છે.


અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિના (ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ)માં ફુગાવો ૪ ટકાના લક્ષ્યાંકથી નીચે રહેવાથી અને ખાદ્ય ફુગાવામાં તીવ્ર ઘટાડો થવાથી CPI ૧૨ મહિનાના સમયગાળા દરમ્યાન ૪ ટકાના લક્ષ્યાંક સાથે કાયમી ધોરણે સુસંગત રહેવાની શક્યતા છે, જેનાથી વધુ દરઘટાડાનો માર્ગ મોકળો થશે. ફ્લેક્સિબલ ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ (FIT) માળખા હેઠળ સરકારે RBI ને +/-2 ટકાના બૅન્ડ સાથે CPI ૪ ટકા પર જાળવવાનો આદેશ આપ્યો છે.

શું ફેરફાર થશે?

લોન લેનારાઓને રાહત થશે, કારણ કે હોમ અને પર્સનલ લોનના તેમના EMI પર વ્યાજના દરમાં આશરે ૫૦ બેસિસ પૉઇન્ટ ઘટશે. લોન લેનારાઓને તેમના EMIમાં મહિને ૮૦૦થી ૧૨૦૦ રૂપિયાનો ફાયદો થશે. જોકે રૂઢિચુસ્ત બચત માટે બચત પર ડિપોઝિટ રેટ પહેલેથી જ ૨.૭ ટકાના રેકૉર્ડ સ્તરથી નીચે આવી શકે છે જે બચતકર્તાઓને જોખમમાં મૂકી શકે છે. ધિરાણદરમાં ઘટાડાને પગલે બૅન્કો પણ ડિપોઝિટ રેટ ઘટાડે એવી અપેક્ષા છે.

Whatsapp-channel Whatsapp-channel

07 June, 2025 09:28 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK