રાજકારભારનું કામ પૂરું થઈ જાય પછી દીવાનને રોકીને ઇન્દોરનરેશ તુકોજીરાવ હોલકર (ત્રીજા) ઘણી વાર તેમને પૂછતા : આપને શું લાગે છે? હવે શું થશે? જવાબ મળતો : મહારાજ! આપ નાહકની ચિંતા કરો છો. એ ખટલો તો પૂરો થઈ ગયો છે.
માણેકબાગ પૅલેસ, પૉલિટિકલ એજન્ટ સર રેજિનૉલ્ડ રૉબર્ટ ગ્લૅન્સી, ઇન્દોરની રાજમુદ્રા અને હોલકર નરેશ યશવંતરાવ હોલકર બીજા
રાજકારભારનું કામ પૂરું થઈ જાય પછી દીવાનને રોકીને ઇન્દોરનરેશ તુકોજીરાવ હોલકર (ત્રીજા) ઘણી વાર તેમને પૂછતા : આપને શું લાગે છે? હવે શું થશે? જવાબ મળતો : મહારાજ! આપ નાહકની ચિંતા કરો છો. એ ખટલો તો પૂરો થઈ ગયો છે. અને આપ નામદારનો વાળ પણ વાંકો કરવાની મગદૂર કોની છે? એક-બે વાર તો રાજ જ્યોતિષીને પણ બોલાવીને પૂછ્યું હતું. તેણે તો તરત રેકૉર્ડ વગાડવી શરૂ કરી હતી: ‘નામદાર! યાવત્ ચંદ્રદીવાકરૌ, આસમુદ્ર પર્યન્તમ્...’ ‘બસ કરો. હવે આપ સિધાવી શકો છો.’ ક્યારેક તો રણવાસમાં પણ મોટી અને નાની રાણી સાથે પણ વાત છેડતા. પણ એ બન્ને તો તરત બાધા-આખડી-માનતા માનવાની વાતો કરતી.
દીવાનજી, રાજ જ્યોતિષી, રાણીઓની વાત છેક ઉપર ભગવાન સુધી પહોંચી કે નહીં એની તો ખબર નહીં; પણ દિલ્હી સુધી તો ન જ પહોંચી. ૧૯૨૬ની ૨૬ જાન્યુઆરીની સવારે સેન્ટ્રલ ઇન્ડિયા પૉલિટિકલ એજન્સીના એજન્ટ સર રેજિનૉલ્ડ ગ્લૅન્સીનો સંદેશો મળ્યો તુકોજીરાવને. ‘વહેલામાં વહેલી તકે આપની મુલાકાત માટે સમય નક્કી કરી જણાવો. આ મુલાકાત વખતે આપણા બે સિવાય બીજું કોઈ હાજર નહીં રહે. હા, આપને દુભાષિયાની જરૂર હોય તો તેને હાજર રાખી શકો છો.’ અલબત્ત, ગ્લેન્સી જાણતા હતા કે તુકોજીરાવ ઇન્દોરની ડેલી કૉલેજમાં અને દેહરાદૂનની કૉલેજમાં ભણ્યા હતા એટલે અંગ્રેજી સારું જાણતા હતા. ૧૯૧૧માં રાજા પંચમ જ્યૉર્જના રાજ્યાભિષેક સમારંભમાં હાજર રહ્યા હતા એટલે બ્રિટિશ રીતરસમથી સારી રીતે પરિચિત હતા. છતાં કાનૂની દૃષ્ટિએ દુભાષિયાને તેઓ હાજર રાખી શકે એટલે એ તક આપવી જોઈએ. દીવાનજી સાથે મસલત કરીને તુકોજીરાવે જવાબ પાઠવ્યો : ‘આવતી કાલે આપના અનુકૂળ સમયે જરૂર પધારો.’
તુકોજીરાવ અને પૉલિટિકલ એજન્ટ વચ્ચેની મુલાકાત થાય એ પહેલાં થોડી વાત સેન્ટ્રલ ઇન્ડિયા એજન્સી વિશે. ૧૮૫૭ પહેલાં જ કંપની સરકારે જુદાં-જુદાં દેશી રાજ્યો સાથેના સંબંધ માટે ૧૮૫૪માં જુદી-જુદી પૉલિટિકલ એજન્સીની સ્થાપના કરી હતી. બીજી કેટલીક એજન્સીઓ એ બરોડા એજન્સી, કાઠિયાવાડ એજન્સી, કચ્છ એજન્સી, મહીકાંઠા એજન્સી, વગેરે. દરેક એજન્સીનો વડો તે પૉલિટિકલ એજન્ટ. તેનો સીધો સંબંધ વાઇસરૉય અને ગવર્નર જનરલ સાથે. તેમની ‘સૂચનાઓ’ રાજાઓ સુધી પહોંચાડવાનું કામ પૉલિટિકલ એજન્ટનું. રાજાઓને પણ કોઈ વાત દિલ્હી દરબાર સુધી પહોંચાડાવવી હોય તો પૉલિટિકલ એજન્ટ મારફત જ પહોંચાડાય.
૧૯૨૬ની ૨૭ જાન્યુઆરી. સવારના અગિયાર વાગ્યે પૉલિટિકલ એજન્ટ સર રેજિનૉલ્ડ રૉબર્ટ ગ્લૅન્સીની પધરામણી રાજમહેલમાં થઈ. પહેલાં તો પરંપરાગત રીતે ફૂલના ગુચ્છા અને શાલ વડે તેમની આગતાસ્વાગતા થઈ. દીવાનજી સાથે થોડી આડીઅવળી વાતો થઈ. પછી તુકોજી મહારાજ અને સર ગ્લૅન્સી ખાનગી મંત્રણા ખંડમાં ગયા. એ લોકો ગયા પછી દીવાનજીએ બે હાથ જોડી મનોમન પ્રાર્થના કરી : ‘હે ભગવાન! સૌ સારાં વાનાં કરજે!’ લગભગ એ જ વખતે બંધ બારણાં પાછળ સરસાહેબ તુકોજી મહારાજને કહી રહ્યા હતા : ‘નામદાર વાઇસરૉયસાહેબે આપને બે દરખાસ્ત મોકલી છે. આપે બેમાંથી એકની પસંદગી કરવાની છે.’
‘દરખાસ્ત શી છે એ તો કહો.’
‘પહેલી દરખાસ્ત એ કે આપના વારસદારોમાંથી આપની પસંદગીના કોઈ એકને રાજગાદી સોંપીને આપ રાજ્યત્યાગ કરો.’
‘અને જો એમ ન કરું તો?’
‘તો ન્યાય અને વ્યવસ્થામાં માનતી બ્રિટિશ સલ્તનતના વફાદાર પ્રતિનિધિ તરીકે નામદાર વાઇસરૉયે આપની વિરુદ્ધ તપાસ કરવા એક ખાસ કમિશન નીમવાનું નક્કી કરવું પડશે.’
‘કયા ગુના સબબ?’
‘બ્રિટિશ સલ્તનતની રૈયત અબ્દુલ કાદર બાવલાના ખૂનના ગુના સબબ.’
‘એ કેસ વિશેનો બૉમ્બે હાઈ કોર્ટનો ચુકાદો તો આવી ગયો છે. હવે એમાં મારું નામ વચમાં કેવી રીતે આવે?’
‘બૉમ્બે હાઈ કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે મુંબઈના પોલીસ-કમિશનર મિસ્ટર કેલીએ તેમની પાસેના બધા પુરાવા અદાલતમાં રજૂ નહોતા કર્યા. પણ મને એ મોકલ્યા હતા અને મેં નામદાર વાઇસરૉયને મોકલ્યા હતા.’
‘કયા પુરાવા અને કઈ વાત? એ બનાવ બન્યો ત્યારે હું તો મુંબઈમાં નહીં, મારા ઇન્દોરમાં હતો. એટલે મારા પર આરોપ શો મૂકી શકશો?’
હા જી. અમે જાણીએ છીએ કે એ દિવસે આપ મુંબઈમાં નહીં, ઇન્દોરમાં હતા. પણ મિસ્ટર અબ્દુલ કાદર બાવલાનું ખૂન કરવાનું ષડયંત્ર ઘડવાનો આરોપ, એને પાર પાડવા માટે આપના રાજ્યના નોકરો અને અધિકારીઓમાંથી કેટલાકની પસંદગી કરવાનો આરોપ, આપની યોજના પાર પાડવા માટે જરૂરી નાણાં પૂરાં પાડવાનો અને બંદૂકો, બીજાં હથિયાર, રેડ મૅક્સવેલ મોટર વગેરે પૂરાં પાડવાનો આરોપ, મિસ્ટર બાવલાનું ખૂન મુંબઈમાં થયું એ રાતે જ ભાગીને ઇન્દોર આવેલા ગુનેગારોને આશ્રય આપવાનો આરોપ, બૉમ્બે પોલીસના અધિકારીઓ તપાસ માટે ઇન્દોર આવ્યા ત્યારે તેમના કામમાં અવરોધો ઊભા કરવાનો આરોપ, બ્રિટિશ સરકારના ગુનેગારોને આશ્રય આપવાનો આરોપ. In short, aiding and abetting of murder.’
‘બસ, બસ. અને હું રાજગાદીનો ત્યાગ કરું તો?’
‘તો ઇન્ક્વાયરી કમિશન નીમવાનું માંડી વાળશે એવું વચન છે વાઇસરૉય સાહેબનું.’
‘મને વિચાર કરવા માટે સમય આપો.’
‘ભલે, પંદર દિવસમાં આપનો નિર્ણય જણાવવા વિનંતી. હું એ જવાબ નામદાર વાઇસરૉયને પહોંચાડીશ.’
પૉલિટિકલ એજન્ટ ગયા પછી ઇન્દોર નરેશે તરત દીવાનજીને બોલાવ્યા અને બધી વાત તેમને કહી. દીવાનજી કહે કે આપણી પાસે પંદર દિવસ છે એટલે કોઈ ને કોઈ રસ્તો નીકળી આવશે.
તુકોજીની દશા તો સૂડી વચ્ચે સોપારી જેવી થઈ હતી. હજી તો માંડ ૩૬ વર્ષની ઉંમર. આ ઉંમર તો રાજગાદીનાં સુખચેન ભોગવવાની હોય. એ ઉંમરે ગાદી છોડી દેવાની? અને એ પણ એક મામૂલી જુવાનના મોતને કારણે? પણ ગાદી ન છોડું તો રાજ્યમાં, દેશમાં અને દુનિયામાં ભારોભાર બદનામી. કદાચ સજા પણ ભોગવવી પડે! કારાવાસ ... પણ આ ધોળિયાઓ ગાજ્યા મેહ વરસે નહીં એવા નથી. એ તો ગાજશેય ખરા અને વરસશેય ખરા!
તુકોજી મહારાજે રાજ્ય બહારના જાણકારોની સલાહ લેવાનું નક્કી કર્યું. સર તેજબહાદુર સપ્રુ, સર શિવાસ્વામી અય્યર અને મેજર ગ્રેહામ પૉલને સલાહ લેવા બોલાવ્યા. તેમની સાથે ચર્ચાવિચારણા કરીને મહારાજાએ પૉલિટિકલ એજન્ટને સંદેશો મોકલ્યો : ‘આપણે વચલો રસ્તો કાઢીએ. બે વર્ષ માટે હું ગ્રેટ બ્રિટન ચાલ્યો જાઉં. મારી ગેરહાજરીમાં રાજ્યનો વહીવટ ચલાવવા માટે આપ નામદાર એક કમિશનની નિમણૂક કરો. એના રાજ્યવહીવટમાં હું કે મારા કોઈ કુટુંબીજનો દખલ નહીં કરીએ એની બાંહેધરી હું આપું છું.
પણ વાઇસરૉયને આ દરખાસ્ત મંજૂર નથી એવો સંદેશો પૉલિટિકલ એજન્ટ તરફથી તરત મળ્યો. હવે? પંદર દિવસની મુદતના છેલ્લા દિવસો આવી લાગ્યા. દીવાનની સલાહથી મહારાજાએ પૉલિટિકલ એજન્ટને સંદેશો મોકલ્યો : વિચાર કરવા માટે મને વધુ સમય આપો. જવાબ : ભલે, ફેબ્રુઆરીના છેલ્લા દિવસ સુધીમાં તમારો નિર્ણય જણાવો. અને જો નહીં જણાવો તો નામદાર વાઇસરૉયે નછૂટકે કમિશનની નિમણૂક્ની જાહેરાત કરવી પડશે. પોતાનાં બધાં હથિયાર હેઠાં પડ્યાં છે એની ખાતરી તુકોજીરાવને થઈ ગઈ. પૉલિટિકલ એજન્ટે આપેલી મુદત ૨૮ ફેબ્રુઆરીએ પૂરી થતી હતી. ૨૬ ફેબ્રુઆરીએ ઇન્દોરના મહારાજ તુકોજીરાવ ત્રીજાએ પૉલિટિકલ એજન્ટને સંદેશો મોકલ્યો : ‘મારા પુત્ર યશવંતરાવ હોલકર બીજાની તરફેણમાં હું રાજગાદી છોડવા તૈયાર છું. પણ જો મને વાઇસરૉય તરફથી વચન મળે કે મારી સામે કોઈ પણ જાતનાં પગલાં લેવામાં નહીં આવે તો અને તો જ.’
નામદાર વાઇસરૉયે મહારાજાનો આભાર માનીને તેમની માગણી સ્વીકારી. પછી ચાલી લેવડદેવડની વાત. બ્રિટિશ સરકાર તરફથી દર વર્ષે તુકોજીરાવને પાંચ લાખ રૂપિયાનું પેન્શન, મોટાં રાણીને ૧,૬૪,૯૦૦ રૂપિયાનું વર્ષાસન, નાનાં રાણીને ૮૬,૫૦૦ રૂપિયાનું વર્ષાસન.
૧૯૨૬ની ૧૧ માર્ચ. સવારે સાત વાગ્યે યશવંતરાવ હોલકર બીજાની સવારી માણેકબાગથી નીકળીને જૂના રાજવાડા પહોંચી. પિતા તુકોજીરાવે હાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું. પરંપરાગત રીતે ધાર્મિક વિધિઓ થઈ. બરાબર ૧૧ વાગ્યે એકવીસ તોપોની સલામી સાથે તુકોજીરાવના દીકરા યશવંતરાવ હોલકર બીજા રાજગાદી પર બેઠા. તુકોજીરાવે પોતે તેમને રાજતિલક કર્યું. અને પછી નવા રાજાને માન આપવા પાછે પગલે ચાલીને સામે પહેલી હરોળમાં આસન પર બેઠા.
અને તેમની નજર સામે ભૂતકાળ ખડો થઈ ગયો. ૧૯૦૩ની ૩૧ જાન્યુઆરીનો એ દિવસ. બાર વર્ષની ઉંમરે પોતે રાજગાદીએ બેઠા હતા એ દિવસે. પિતા શિવાજીરાવ હોલકર લગભગ કાયમના માંદા. અગાઉ પણ બે-ત્રણ વખત રાજગાદી છોડવાની વાત છેડેલી પણ દીવાન અને બીજાઓએ રોકેલા. પણ છેવટે વાઇસરૉય લૉર્ડ કર્ઝને મંજૂરી આપી અને પિતાએ રાજગાદી છોડી. આજે પોતે રાજગાદી છોડી પણ પોતાની ઇચ્છાથી નહીં. સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન!
નવા રાજા પર સોના-ચાંદીનાં પુષ્પોની વર્ષા થઈ. શરણાઈના સૂર હવામાં લહેરાયા. આખા ઇન્દોર શહેરમાં મીઠાઈ વહેંચાઈ. ગરીબોને અન્ન-વસ્ત્ર વહેચાયાં. રાજ્યાભિષેક વખતે પૉલિટિકલ એજન્ટ સર ગ્લૅન્સી ખાસ હાજર રહ્યા હતા. પહેલી હરોળમાં બેઠા હતા. દીકરાને રાજતિલક કર્યા પછી તુકોજીરાવ બેઠા ત્યારે ગ્લૅન્સી તેમને ભેટીને રડ્યા અને પછી જવાની મંજૂરી માગી. બહાર નીકળીને જોયું તો તુકોજીરાવના મહેલ પર હજી ઇન્દોર રાજ્યનો ઝંડો ફરકતો હતો. હાજર રહેલા ADCને તેમણે હુકમ કર્યો : ‘અત્તર ઘડી તુકોજીરાવના મહેલ પરથી ઇન્દોર રાજ્યનો ઝંડો ઊતરાવી દો. હવે તેમને આ ઝંડો ફરકાવવાનો હક નથી.’
અને બે-ચાર મિનિટમાં જ તુકોજીરાવના મહેલ પરથી ઇન્દોર રાજ્યનો ઝંડો ઊતરી ગયો.
પ્રિય વાચક! પણ હજી અહીં વાત પૂરી થતી નથી. આગે આગે દેખિએ હોતા હૈ ક્યા.

