૧૯૨૪ના વરસની એક સાંજ. મુંબઈનો ‘પિલા (પ્લે) હાઉસ’ તરીકે ઓળખાતો વિસ્તાર. ત્યાં આવેલું વિક્ટોરિયા થિયેટર. શૅરબજારના શેઠિયાઓથી માંડીને ઘોડાગાડીવાળા સુધીનાની ભીડ સાંજથી વધતી જાય છે.
માસ્ટર અશરફ ખાન, ખુરશેદજી બાલીવાલા, રમણલાલ વસંતલાલ દેસાઈ, મોતીબાઈ
૧૯૨૪ના વરસની એક સાંજ. મુંબઈનો ‘પિલા (પ્લે) હાઉસ’ તરીકે ઓળખાતો વિસ્તાર. ત્યાં આવેલું વિક્ટોરિયા થિયેટર. શૅરબજારના શેઠિયાઓથી માંડીને ઘોડાગાડીવાળા સુધીનાની ભીડ સાંજથી વધતી જાય છે. કારણ? કારણ આજે લક્ષ્મીકાન્ત નાટક સમાજનું એક નવું ગુજરાતી નાટક ભજવાવાનું છે : માલવપતિ મુંજ. રાતના સાડાનવે પોટાશનો ધડાકો થાય છે અને
ધીમે-ધીમે પડદો ખૂલે છે. મુંજના પાત્રમાં છે ગાયક-નટ માસ્ટર અશરફખાન. રાજા તૈલપ, તેની બહેન મૃણાલવતી અને રાજા મુંજ – એ ત્રણની આસપાસ ફરતું આ નાટક કનૈયાલાલ મુનશીની પ્રખ્યાત નવલકથા ‘પૃથિવીવલ્લભ’ને આધારે લખ્યું છે પ્રભુલાલ દ્વિવેદીએ. અને માસ્ટર અશરફખાનના પહાડી અવાજમાં એક ગીત વહેતું થાય છે:
હૃદયના શુદ્ધ પ્રેમીને,
નિગમનાં જ્ઞાન ઓછાં છે,
ન પરવા માનની તોયે,
બધાં સન્માન ઓછાં છે
તરી જાવું બહુ સહેલું છે,
મુશકીલ ડૂબવું જેમાં,
એ નિર્મળ રસ સરિતાથી,
ગંગાસ્નાન ઓછાં છે
પ્રણય કલહે વહે આંસુ,
ચૂમે ચાંપી હૃદય સ્વામિન્,
અરે, એ એક પળ માટે,
જીવનનાં દાન ઓછાં છે
ગીતોને વન્સ મોર પર વન્સ મોર. ઇન્ટરવલમાં શેઠ, શેઠાણી અને ‘બાબા શેઠ’ ફેરિયાનાં ખારાં બદામ-પિસ્તાંનાં ‘ઊડ ઊડ’ પડીકાં ઝીલી એમાંનાં ખારાં પિસ્તાં ફોલીને ખાય છે. એક અંક પછી બીજો, પછી ત્રીજો, પછી ... સવારે સાડાચારે નાટક પૂરું થાય છે.
આજે નથી રહ્યું એ ૧૮૬૯માં બંધાયેલું વિક્ટોરિયા થિયેટર. પછીથી ફિલ્મોનો જમાનો આવ્યો ત્યારે એ બન્યું ‘તાજ ટૉકીઝ’. પછી એય ગયું અને એની જગ્યાએ ઊભું થયું એક શૉપિંગ સેન્ટર. પણ આજે ૧૪ ફેબ્રુઆરીએ ત્યાંથી પસાર થશો અને તમારા કાન સરવા અને નરવા હશે, ગરવાં ગીતો સાંભળવા ટેવાયેલા હશે તો તમને સંભળાશે એ શબ્દો, માસ્ટર અશરફખાનના ગળામાંથી નીકળતા : ‘હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે.’
હા જી. અમે જાણીએ છીએ કે વાચકમિત્રો વિમાસણમાં પડ્યા હશે કે ક્યાં ગયા પેલા પોલીસ-કમિશનર ફૉર્જેટ, ક્યાં ગયા ૧૮૫૭ના ‘બળવા’ના એ દિવસો? અને ક્યાંથી આવી ચડ્યા કે પડ્યા આ માસ્ટર અશરફખાન! પણ આજે કઈ તારીખ છે એ યાદ કરશો તો સમજાઈ જશે આ બધું. કારણ કે આજનો દિવસ એટલે ફૉર્જેટની બંદૂકનો દિવસ નહીં પણ કટારીનો દિવસ. અને એ કટારી પણ પાછી સોનાની : ‘પ્રેમની, પ્રેમની, પ્રેમની રે, મને લાગી કટારી પ્રેમની.’
મુંબઈ શહેરમાં જ નહીં, આખા મુંબઈ ઇલાકામાં (જેમાં આજના ગુજરાત રાજ્યનો પણ સમાવેશ થતો હતો) ગુજરાતી નાટકની શરૂઆત કરી પારસી બિરાદરોએ. મુંબઈમાં. દાદાભાઈ નવરોજીની પ્રેરણાથી સ્થપાયેલી ‘પારસી નાટક મંડળી’એ ૧૮૫૩ના ઑક્ટોબરની ૨૯ તારીખે, ગ્રાન્ટ રોડ પર જગન્નાથ શંકરશેઠે બંધાવેલા થિયેટરમાં ‘રુસ્તમ અને શોરાબ’ નામનું નાટક ભજવ્યું અને સાથે ભજવ્યું ‘ધનજી ગરકનું ફારસ.’
પારસી નાટક મંડળીએ પહેલેથી જ નાટક સાથે સંગીતને પણ જોડ્યું. હા, શરૂઆતમાં નાટક પૂરું થયા પછી ચાર-પાંચ ‘પોરિયાઓ’ (એ વખતે ‘પોરીઓ’ સ્ટેજ પર આવતી જ નહીં) સ્ટેજ પર આવી થોડાં ગીતો ગાઈ જતા. પણ પછી થોડા જ વખતમાં ગીત-સંગીતને નાટકની અંદર સમાવી લીધાં. એ ગીતોમાં એક બાજુ પશ્ચિમી સંગીતના સૂરો હતા એમ બીજી બાજુ આપણા શાસ્ત્રીય સંગીતના સૂરો પણ હતા. ૧૮૭૧માં ભજવાયું એદલજી ખોરી (૧૮૪૭-૧૯૧૭)નું નાટક ‘સોનાના મૂલની ખોરશેદ.’ એ નાટકનું એક ગીત :
બિન પિયા ઘટા નહિ ભાવે,
રેહ રેહ દેખકુ ગભરાવે,
બીજલી કી ચમક તરપાવે, ડરાવે,
બિન પિયા ઘટા નહિ ભાવે.
આમાં છે ક્યાંય પારસી બોલી? શાસ્ત્રીય સંગીતની ‘ચીજ’ ગવાતી હોય એવું જ લાગે, આજે ૧૪ ફેબ્રુઆરીએ સાંભળીએ તો પણ. તો આ જ એદલજી ખોરી ઉર્દૂ જબાનમાં ગઝલ પણ લખે, પ્રેમની જ તો!
આંખ ક્યૂં તૂને ભલા, હમસે મિલાઈ પ્યારે!
બૂઝ ગયીથી સો ફેર અબ,
આગ લગાઈ પ્યારે!
મૈં સિવા તેરે કિસીકું ભી ન દેખું હરગીઝ,
સામને અપને અગર હોવે ખુદાઈ પ્યારે!
તો વિક્ટોરિયા થિયેટરના છેલ્લા માલિક નટ, નાટ્યલેખક ખુરશેદજી બાલીવાલા ‘રોશન’ શુદ્ધ ગુજરાતીમાં દોહરા લખે છે :
ચંદા તુજ ચમકાટ પર, ચ
કોર બની ગઈ હું,
ચાતક સમ તુજ પ્રીતની,
હું પ્યાસી બહુ થઈ છું
હરદમ તુજના નામની,
હું જાપ કરું દિલદાર,
તન બદન કુરબાન કરી,
પૂજું સનમ સરદાર
૧૯૦૭માં બાલીવાલાએ પીલાહાઉસ વિસ્તારમાં ‘બાલીવાલા ગ્રાન્ડ થિયેટર’ બંધાવ્યું જે એ વખતના મુંબઈના પોલીસ-કમિશનર એચ. જી. ગેલ દ્વારા ખુલ્લું મુકાયું હતું. આ ગેલસાહેબ મુંબઈના પહેલા પોલીસ-કમિશનર હતા જેમને સરકારે મોટર ફાળવી હતી. તે પહેલાંના બધા પોલીસ-કમિશનર ઘોડાનો ઉપયોગ કરતા. ૧૯૪૭ પછી આ થિયેટર સિનેમાઘર બન્યું ત્યારે એનું નામ પડ્યું ‘દોલત ટૉકીઝ.’
આજે આપણે જેને ‘ધંધાદારી રંગભૂમિ’નું લેબલ લગાડી દીધું છે એ જ રંગભૂમિ પર કવીશ્વર દલપતરામ, નર્મદ, મણિલાલ નભુભાઈ જેવા પ્રતિષ્ઠિત લેખકોનાં નાટકો પણ ભજવાતાં. મણિલાલનું ‘નૃસિંહાવતાર’ નાટક ૧૮૯૯માં ગુજરાતી નાટક મંડળી દ્વારા ભજવાયું હતું.એતેમાંનું એક ગીત :
રસબસ ભીની હો રાજ,
લગન મારી રસિયા સંગે,
તનમનથી લાગી લગન
મારી રસિયા સંગે
પ્રેમે ભીની પોયણી, ચંદા નભમાં દૂર,
જે જેની નજરે વસે તે તો નિશદિન તેની હજૂર.
વસંતવિજય, ચક્રવાકમિથુન, દેવયાની જેવાં ખંડકાવ્યોને પ્રતાપે ગુજરાતી કવિતામાં અનોખું સ્થાન ધરાવતા કવિ કાન્તે પણ નાટકો લખેલાં અને એ રંગભૂમિ પર ભજવાયેલાં પણ ખરાં. તેમનું જાલિમ ટુલિયા નાટક દેશી નાટક સમાજે ૧૯૦૯માં ભજવેલું. એમાંનું એક અલ્લડ પ્રણયગીત :
વાંકડિયા વાળ પર મોહી,
છબીલા હું તો વાંકડિયા વાળ પર મોહી,
વાંકડિયા વાળ, તારો વાંકડિયા ફેંટો,
ભ્રમર કમાન વાંકી જોઈ
વાંકી વાંકી ચાલ તારી,
ગરદનની ઢાલ વાંકી,
રાખી છેલ બાંકા વાંકુ જોઈ,
વાંકલડી નજરે શું ચોર
ચોરી લીધું તે એ,
હું તો બેઠી મારું સર્વ ખોઈ
ગાંધીયુગના ગુજરાતની આબેહૂબ છબી ઝીલતી નવલકથાઓને કારણે ‘યુગમૂર્તિ વાર્તાકાર’નું બિરુદ જેમને મળ્યું તે રમણલાલ વસંતલાલ દેસાઈની લેખક તરીકેની કારકિર્દીની શરૂઆત નાટકકાર તરીકે થયેલી. તે એટલે સુધી કે ગુજરાતી લેખકો વિશેનો ૧૧ ભાગમાં પ્રગટ થયેલો માહિતીકોશ ‘ગ્રંથ અને ગ્રંથકાર’નો પહેલો ભાગ ૧૯૩૦માં પ્રગટ થયો ત્યારે એમાં રમણલાલનો પરિચય એક આગળ પડતા નાટકકાર તરીકે અપાયો છે, અગ્રણી નવલકથાકાર તરીકે નહીં. એ જમાનામાં રમણલાલનાં નાટકો રંગભૂમિ પર સફળતાથી ભજવાતાં. તેમનું શંકિત હૃદય નાટક વડોદરાના ‘રસમંડળ’ દ્વારા ૧૯૨૫માં ભજવાયેલું. એમાંનું એક પ્રેમગીત:
મારી મદભર આંખ ઘેરાણી,
ઝુલાવો ધીમે હજી ધીમે પ્રાણ,
નીંદભર્યા અમ પાસે પ્રિયતમ
રાખીએ ચિત્ત ચકોર,
જો જો સલૂણા ફાટે નહિ,
મારા નવરંગ સાળુની કોર.
કુળી કુળી ચૂંટી મેંદી મૂક્યો મેં પાનીએ કુમકુમ રંગ,
આછો ઉઘાડ ઝુલાવતા બળથી, ઊડશે લહરી સંગ.
વેગળાં લ્યો જરી નયનો બ્હીતાં, નાસતાં ખંજન લોલ,
કીકી તણો પડછાયો પડી,
મારા કાળા થાય કપોલ.
૧૯૯૨માં રમણલાલની જન્મશતાબ્દીની ઉજવણીના એક ભાગ તરીકે ‘શમણાં’ નામની એક કૅસેટ બહાર પડી હતી. (જી હા. એ જમાનો કૅસેટનો હતો, CD હજી આવી નહોતી.) એમાં કૌમુદી મુનશીએ આ ગીત અત્યંત માધુર્યસભર કંઠે ગાયું હતું. અને ઓછી જાણીતી વાત એ કે આ ગીતનું સ્વરાંકન કૌમુદીબહેને પોતે જ કર્યું હતું.
અને હવે જઈએ ‘જૂની’ ગુજરાતી રંગભૂમિના પિયર જેવી ભાંગવાડી. આજે તો ત્યાં પણ શૉપિંગ સેન્ટર ઊભું છે. પણ એક જમાનો હતો જ્યારે વહેલી સવાર સુધી અહીં નાટકના સંવાદોના અને ગાયનોના પડઘા ફેલાયા કરતા. અને એ સેંકડો, બલકે હજારો ગાયનોમાંથી કોઈ એક જ પસંદ કરવાનું હોય તો? સ્વયંવરમાં પતિ પસંદ કરવા કરતાંય વધુ અઘરું કામ. આ લખનારના જન્મ પહેલાં એક વર્ષે, ૧૯૩૮માં પહેલી વાર ભજવાયેલું નાટક, વડીલોના વાંકે. લેખક પ્રભુલાલ દ્વિવેદી. પણ એ નાટક કાકા (પિતાને અમે કાકા કહેતા), મા, ભાઈદાદા અને બીજા કુટુંબીજનો સાથે ભાંગવાડીમાં જોયાનું બરાબર યાદ છે. અને એના કરતાંય વધુ યાદ છે, ના-ના યાદ નહીં, અવારનવાર કાનમાં જ નહીં મનમાં ગુંજ્યા કરે છે એ તો માસ્ટર કાસમભાઈએ બેસાડેલી
તરજ પર એ વખતની રંગભૂમિ પર મહારાણીની જેમ છવાઈ ગયેલાં મોતીબાઈ અદ્ભુત અભિનય અને અદ્ભુત કંઠે ગાતાં એ ગીત :
મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા.
જોતી’તી વહાલાની વાટ રે,
અલબેલા કાજે ઉજાગરા.
પગલે પગલે એના ભણકારા વાગતા,
અંતરમાં અમથા ઉચાટ રે... અલબેલા કાજે
બાંધી મેં હોડ આજ નિંદરડી સાથ ત્યાં
વેરણ હિંડોળા ખાટ રે...
અલબેલા કાજે
ઘેરાતી આંખડીને દીધા સોગન મેં
મટકું માર્યું તો તારી વાત રે... અલબેલા કાજે
આજના તો જાગરણે આતમા જગાડ્યો
જાણે ઊભી હું ગંગાને ઘાટ રે... અલબેલા કાજે
મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા.
આ મીઠા ઉજાગરા ગુજરાતી રંગભૂમિને ફળ્યા એવા આજે, વૅલેન્ટાઇન્સ ડેના સપરમા દિવસે સૌ પ્રેમીઓને ફળજો.


