Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > માનવતા, સંસ્કાર અને સમાજસેવા સમયની સૌથી મોટી જરૂરિયાત

માનવતા, સંસ્કાર અને સમાજસેવા સમયની સૌથી મોટી જરૂરિયાત

Published : 25 June, 2026 11:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજના વડીલોની વિશેષ જવાબદારી છે કે તેઓ આવનારી પેઢીમાં માત્ર આધુનિક શિક્ષણ જ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને માનવતાનાં મૂલ્યોનું પણ સિંચન કરે

હરેશ ઠક્કર શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ ભક્ત મંડળ, મુલુંડના ટ્રસ્ટી તેમજ સહમંત્રી છે

What’s On My Mind?

હરેશ ઠક્કર શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ ભક્ત મંડળ, મુલુંડના ટ્રસ્ટી તેમજ સહમંત્રી છે


મેં જીવનના અનેક ઉતાર-ચડાવ અને સમાજમાં આવેલાં આમૂલ પરિવર્તનોને નજીકથી જોયાં છે. ટેક્નૉલૉજીના પ્રસાર, આધુનિક સુવિધાઓ અને બદલાતી જીવનશૈલીએ આપણને ભૌતિક રીતે ઘણું આપ્યું છે, પરંતુ વિકાસની આ દોડમાં કેટલીક પાયાની બાબતો પાછળ છૂટી રહી હોય એમ લાગે છે. મારા લાંબા અનુભવે મને શીખવ્યું છે કે દુનિયા ગમે એટલી પ્રગતિ કરે, એક વસ્તુ જેની જરૂરિયાત ક્યારેય ઓછી થતી નથી એ છે માનવતા.

મારા મતે કોઈ પણ સમાજની સાચી ઓળખ એના દ્વારા આયોજિત ભવ્ય ઉત્સવો કે મેળાવડાઓથી નથી થતી, પરંતુ એ સમાજ જરૂરિયાતમંદ લોકો માટે કેટલો સહાયરૂપ બને છે એના પરથી થાય છે. સામાજિક સંસ્થાઓ માત્ર મનોરંજનનાં કેન્દ્રો ન બની રહેતાં સેવાનાં પ્રતીક બનવી જોઈએ. ગરીબ પરિવારોને સમયસર મેડિકલ સહાય પહોંચાડવી, તેજસ્વી પરંતુ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવું અને જરૂરિયાતમંદોને જીવનજરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવી એ જ સાચી સમાજસેવા છે.



આજે આપણે જે કંઈ છીએ એ આપણા વડીલોએ આપેલા સંસ્કારો અને માર્ગદર્શનનું પરિણામ છે. તેથી આજના વડીલોની વિશેષ જવાબદારી છે કે તેઓ આવનારી પેઢીમાં માત્ર આધુનિક શિક્ષણ જ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને માનવતાનાં મૂલ્યોનું પણ સિંચન કરે. બાળકોને વડીલો, ગુરુજનો અને આદરણીય વ્યક્તિઓ પ્રત્યે માન રાખવાની કેળવણી આપવી અત્યંત આવશ્યક છે, જેથી તેઓ ભવિષ્યમાં સંવેદનશીલ નાગરિક બની શકે.


આ સાથે જ પર્યાવરણની સુરક્ષા એ આજના સમયની સૌથી મોટી ડિમાન્ડ છે. કુદરતી સંસાધનોનો અવિચારી ઉપયોગ આપણા ભવિષ્ય માટે ખતરો છે. વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટિકમુક્તિ જેવા મુદ્દાઓ પર સમાજે સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. આવનારી પેઢીને રહેવા માટે એક સ્વચ્છ અને સુરક્ષિત પૃથ્વી આપવી એ આપણી સામૂહિક નૈતિક જવાબદારી છે.
સમાજના લોકો જ્યારે એકબીજાના સુખ-દુઃખમાં ખભેખભા મિલાવીને ઊભા રહે છે ત્યારે જ એકતા અને સહકારની ભાવના ખીલે છે. આધુનિક યુગમાં આપણે ટેક્નૉલૉજીના સકારાત્મક ઉપયોગ દ્વારા એક એવો મજબૂત સંપર્ક-સેતુ બનાવવો જોઈએ જેનાથી સમાજના દરેક સભ્યને જોડી શકાય અને સામાજિક કાર્યોને વધુ પારદર્શક અને અસરકારક બનાવી શકાય.

અંતમાં એટલું જ કહીશ કે સમાજની સાચી પ્રગતિ માત્ર આર્થિક સમૃદ્ધિમાં નથી પરંતુ માનવતા, સેવા અને પરસ્પરના સહકારમાં રહેલી છે. જો આપણે આ મૂલ્યોને આત્મસાત્ કરીશું તો જ આવનારી પેઢીને એક વધુ સારો, સંસ્કારી અને સુખી સમાજ વારસામાં આપી શકીશું. યાદ રાખો કે સમાજની સાચી ઓળખ એના ભવ્ય કાર્યક્રમોથી નહીં પરંતુ એના દ્વારા થયેલી માનવસેવા અને સંસ્કારના વારસાથી થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2026 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK