ભૂરાજકીય તનાવ અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોનું ધ્યાન મલ્ટિ-ઍસેટ રોકાણ તરફ વધી રહ્યું છે. ઇક્વિટી, ડેટ અને અન્ય ઍસેટ્સમાં યોગ્ય વહેંચણી કરીને જોખમ ઘટાડવા અને પોર્ટફોલિયો મજબૂત રાખી શકાય છે.
પ્રતીકાત્મક તસવીર
હાલમાં ભૂરાજકીય તનાવ, વ્યાજદરમાં થતા ફેરફાર અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિ વિશેની અનિશ્ચિતતાને કારણે ઇક્વિટીના રોકાણકારોના મનમાં એક મહત્ત્વનો સવાલ ઊભો થયો છે : ‘શું મારી આખી નાણાકીય સફર માત્ર એક જ પ્રકારની ઍસેટ એટલે કે ઇક્વિટી પર આધારિત હોવી જોઈએ?’
આ સવાલ સાથે રોકાણકારોની વિચારસરણીમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. હવે એક કરતાં વધુ ઍસેટમાં રોકાણ કરવાનો ઝોક વધી રહ્યો છે. અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઇન ઇન્ડિયા (AMFI)ના આંકડા મુજબ મે ૨૦૨૬માં મલ્ટિ-ઍસેટ ઍલોકેશન ફન્ડ્સ હેઠળની ઍસેટ્સ આશરે ૧.૯૦ લાખ કરોડ રૂપિયા હતી, જે મે ૨૦૨૩માં ૨૯,૦૦૦ કરોડ રૂપિયા હતી. આમ ૩ વર્ષમાં અમાં ૫૫૫.૨ ટકાનો વધારો થયો છે. આ આંકડા દર્શાવે છે કે રોકાણકારો હવે અલગ-અલગ ઍસેટ ક્લાસમાં રોકાણ વહેંચી કાઢવાના મહત્ત્વને વધુ સારી રીતે સમજી રહ્યા છે.
ડાઇવર્સિફિકેશન ત્યારે જ થયું કહેવાય જ્યારે બજારની બદલાતી સ્થિતિમાં આખા પોર્ટફોલિયો પર એકસરખી અસર ન થાય અને મોટું નુકસાન ટાળી શકાય એવો પોર્ટફોલિયો બનાવ્યો હોય. ઇક્વિટી, ડેટ અને અન્ય ઍસેટ ક્લાસ અલગ-અલગ પરિસ્થિતિમાં અલગ રીતે વર્તી શકે છે. તેથી રોકાણકારનાં લક્ષ્યો, રોકાણનો સમયગાળો, જોખમ લેવાની ક્ષમતા અને નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને ઍસેટ ક્લાસનું મિશ્રણ નક્કી કરવું જરૂરી છે.
ડાઇવર્સિફિકેશનની વાત હવે માત્ર ઇક્વિટી અને ડેટ સુધી સીમિત રહી નથી. ભારતનું નાણાકીય ક્ષેત્ર પણ ઝડપથી બદલાઈ રહ્યું છે. ગિફ્ટ સિટી જેવી પહેલને કારણે રોકાણકારો માટે વૈશ્વિક રોકાણના નવા વિકલ્પો અને અન્ય પ્રકારના રોકાણના માર્ગો વિશે જાણવાની તકો વધી છે.
રોકાણનો કોઈ પણ વિકલ્પ પસંદ કરતાં પહેલાં એમાં રહેલું જોખમ, ખર્ચ, કરવેરા અને એ રોકાણકારનાં નાણાકીય લક્ષ્યો માટે કેટલો યોગ્ય છે એ જોવું જરૂરી છે.
બજારમાં અનિશ્ચિતતા આવે ત્યારે પોર્ટફોલિયોમાં વારંવાર ફેરફાર કરવો યોગ્ય અભિગમ નથી. બજાર અસ્થિર બન્યું છે એટલા માટે ઇક્વિટીથી દૂર થવાની પણ જરૂર નથી. લાંબા ગાળાના પોર્ટફોલિયોમાં ઇક્વિટી મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. વ્યક્તિગત રોકાણકાર માટે ખરું મહત્ત્વ યોગ્ય ઍસેટ ઍલોકેશનનું છે.
કદાચ સૌથી મોટો ફેરફાર રોકાણકારોની વિચારસરણીમાં થવો જોઈએ. ‘આગામી સમયમાં કયો ઍસેટ ક્લાસ સૌથી સારું પ્રદર્શન કરશે?’ એને બદલે ‘અલગ-અલગ પરિસ્થિતિમાં મારો પોર્ટફોલિયો કેવી રીતે મજબૂત રહી શકે?’ એવો સવાલ વધુ ઉપયોગી બની શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો અટકળો બાંધવાને બદલે બદલાતી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જરૂરી છે.
બજારને કાબૂમાં રાખવાનું શક્ય નથી; પરંતુ પોતે કેટલું જોખમ લેવું, રોકાણ અલગ-અલગ ઍસેટ્સમાં કેવી રીતે વહેંચવું, નાણાં કેવી રીતે રોકવાં અને બદલાતાં નાણાકીય લક્ષ્યો પ્રમાણે પોર્ટફોલિયોની સમીક્ષા કરવી એ બધું આપણા હાથમાં છે.
અનિશ્ચિતતાભર્યા સમયમાં હેતુ એવું કોઈ એક રોકાણ શોધવાનો ન હોવો જોઈએ જે આપણો આખો પોર્ટફોલિયો સંભાળી લે. એને બદલે પોર્ટફોલિયો એવો હોવો જોઈએ કે એમાં વળતર કોઈ એક રોકાણ પર જ નિર્ભર હોય.
-ખ્યાતિ મશરૂ-વસાણી
