સંજય દત્તની આગામી ફિલ્મ ‘આખરી સવાલ’નું ટ્રેલર હવે રિલીઝ થઈ ગયું છે. ફિલ્મની જાહેરાત પછીથી જ આ ફિલ્મ ચર્ચામાં રહી છે, કારણ કે એની સ્ટોરી દેશના ઇતિહાસ સાથે જોડાયેલા કેટલાક સંવેદનશીલ અને ચર્ચાસ્પદ મુદ્દાઓ પર આધારિત છે.
‘આખરી સવાલ’નું ટ્રેલર રિલીઝ
સંજય દત્તની આગામી ફિલ્મ ‘આખરી સવાલ’નું ટ્રેલર હવે રિલીઝ થઈ ગયું છે. ફિલ્મની જાહેરાત પછીથી જ આ ફિલ્મ ચર્ચામાં રહી છે, કારણ કે એની સ્ટોરી દેશના ઇતિહાસ સાથે જોડાયેલા કેટલાક સંવેદનશીલ અને ચર્ચાસ્પદ મુદ્દાઓ પર આધારિત છે. ટ્રેલર સામે આવ્યા બાદ ફિલ્મ ફરી ચર્ચામાં આવી ગઈ છે અને સોશ્યલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ફિલ્મમાં મહાત્મા ગાંધીની હત્યા, બાબરી મસ્જિદ વિધ્વંસ અને ઇમરજન્સી જેવા મુદ્દાઓને બતાવવામાં આવ્યા છે. સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા કેટલાક આરોપો અને ઐતિહાસિક ઘટનાઓ પર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે ફિલ્મ આ તમામ મુદ્દાઓ સાથે જોડાયેલા સવાલો અને દાવાઓને લોકો સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરે છે.
ADVERTISEMENT
ટ્રેલરમાં સંજય દત્તનો ગંભીર અને તીવ્ર અંદાજ જોવા મળે છે. તે ફિલ્મમાં એવા પાત્રમાં જોવા મળે છે જે દેશના ઇતિહાસ અને રાજકીય મુદ્દાઓને લઈને સવાલ કરે છે અને પોતાની વાત સ્પષ્ટ રીતે રજૂ કરે છે. ટ્રેલરમાં તેના ઘણા ડાયલૉગ્સ પણ ચર્ચામાં આવ્યા છે. ફિલ્મમાં સમીરા રેડ્ડી પણ મહત્વના રોલમાં જોવા મળશે. લાંબા સમય પછી તે ફરી ફિલ્મોમાં જોવા મળી રહી છે.
આ સિવાય ફિલ્મમાં નમાશી ચક્રવર્તી, અમિત સાધ, નીતૂ ચંદ્રા અને ત્રિધા ચૌધરી જેવા કલાકારો પણ મહત્વના પાત્રોમાં છે. ફિલ્મનું ડિરેક્શન નૅશનલ અવૉર્ડ વિજેતા ડિરેક્ટર અભિજીત મોહન વારંગે કર્યું છે. ફિલ્મની સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલૉગ્સ ઉત્કર્ષ નૈથાનીએ લખ્યા છે.
ફિલ્મને લઈને એક ખાસ વાત એ પણ છે કે ‘આખરી સવાલ’ એવી પહેલી હિન્દી ફિલ્મોમાંની એક ગણાઈ રહી છે જે બધિરો માટે ઇન્ડિયન સાઇન લૅન્ગ્વેજ (ISL) સાથે રિલીઝ થશે. સાથે જ દૃષ્ટિબાધિત લોકો માટે પણ ફિલ્મને સરળ રીતે સમજાવી શકાય એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ફિલ્મના મેકર્સનું કહેવું છે કે વધુમાં વધુ લોકો સુધી ફિલ્મ પહોંચે એ માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે.
ફિલ્મનું પ્રેઝન્ટેશન નિખિલ નંદાએ કર્યું છે. જ્યારે ફિલ્મના નિર્માતા સંજય દત્ત અને નિખિલ નંદા છે. પુનીત નંદા, ડૉ. દીપક સિંહ, ગૌરવ દુબે અને ઉજ્જવલ આનંદ ફિલ્મના સહ-નિર્માતા છે.
‘આખરી સવાલ’ 15 મે 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ હિન્દી ઉપરાંત તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સંજય દત્તની આવનારી ફિલ્મ ‘આખરી સવાલ’ હવે સમયસર રિલીઝ નહીં થાય એવી ચર્ચા ચાલી રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આધારિત આ ફિલ્મની જાહેરાત બાદથી જ તે ચર્ચામાં રહી છે. મેકર્સે એને ૮ મેએ રિલીઝ કરવાની જાહેરાત કરી હતી પરંતુ આ ફિલ્મનું ટ્રેલર આજે જ રિલીઝ કરવામાં આવ્યું છે. જે તમે ઉપર જોયું હશે.
