તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ રાજપાલને તેના આ સૂચન બદલ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે
રાજપાલ યાદવ
રાજપાલ યાદવ હાલમાં ૯ કરોડ રૂપિયાનો ચેક બાઉન્સ થવાના કેસમાં તિહાર જેલમાં લગભગ ૧૧ દિવસ ગાળ્યા પછી વચગાળાના જામીન પર બહાર આવ્યો છે. જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે કેદીઓ માટે કેટલાંક ખાસ સૂચન કરતાં જણાવ્યું છે કે જેલમાં કેદીઓ માટે સ્મોકિંગ એરિયા હોવો જોઈએ. જેલમાંથી બહાર આવ્યા પછી રાજપાલે એક વાતચીત દરમ્યાન કહ્યું, ‘હું સિગારેટ પીવાની આદત છોડી શક્યો નથી અને ઘણી વાર પ્રયાસ કર્યો હોવા છતાં મને સફળતા મળી નથી. મને લાગે છે કે જેમ ઍરપોર્ટ પર સ્મોકિંગ ઝોન હોય છે એમ જેલમાં પણ એવી વ્યવસ્થા હોવી જોઈએ. હું ધૂમ્રપાન અથવા તમાકુના ઉપયોગને પ્રોત્સાહન નથી આપતો, પણ દેશમાં એ કાનૂની રીતે વેચાય છે અને મોટો વ્યવસાય છે તેથી જેલમાં પણ નિયંત્રિત રીતે એની સુવિધા હોવી જોઈએ.’ રાજપાલની આ ડિમાન્ડ સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ છે અને ઘણા લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક મજાકમાં કહે છે કે રાજપાલને જેલમાં લાઉન્જ જેવી સુવિધા જોઈએ છે તો કોઈએ કમેન્ટ કરી છે કે હવે તે જેલમાં ઍર-કન્ડિશન્ડ રૂમ પણ માગશે. આમ રાજપાલની જેલમાં સ્મોકિંગ ઝોનની સુવિધા આપવાની માગણી લોકોને ખાસ ગળે નથી ઊતરી.
