ગૌહર ખાને સુનીલ શેટ્ટીની ટિપ્પણી પર આક્રોશ વ્યક્ત કર્યો
સુનીલ શેટ્ટી, ગૌહર ખાન
ગૌહર ખાન બીજી વખત માતા બનવા જઈ રહી છે. તેણે ૨૦૨૦માં ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યાં હતાં અને ૨૦૨૩માં પહેલા દીકરા ઝેહાનને જન્મ આપ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં ગૌહર અને પતિ ઝૈદ દરબારે બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. હાલમાં ગૌહર દીકરા ઝેહાનના જન્મ પછી સિલ્વર સ્ક્રીનથી દૂર છે પણ તેણે પોતાનો વ્લૉગ શરૂ કર્યો છે. ગૌહર ખાને વ્લૉગમાં પોતાના ગર્ભપાતથી લઈને ગર્ભાવસ્થા અને ડિલિવરી વિશે વાત કરી. આ સાથે તેણે સુનીલ શેટ્ટીના સી-સેક્શન ડિલિવરી પર આપેલા નિવેદન પર પોતાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો. તેણે આરોપ મૂક્યો છે કે સુનીલને પ્રેગ્નન્સીમાં અનુભવવા પડતા શારીરિક અને ભાવનાત્મક પડકારો વિશે સમજ નથી.
થોડા સમય પહેલાં નાના બનેલા સુનીલ શેટ્ટીએ એક ઇન્ટરવ્યુમાં પોતાની દીકરી અથિયાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેણે સુવિધાજનક સિઝેરિયન (સી-સેક્શન)ને બદલે પીડાદાયક નૅચરલ ડિલિવરીનો વિકલ્પ પસંદ કર્યો હતો. જોકે તેની આ કમેન્ટની ખૂબ ટીકા થઈ, જે બાદ તેણે સ્પષ્ટતા કરવી પડી કે તેની વાતને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી. હવે ગૌહર ખાન પણ સુનીલ શેટ્ટીની આ કમેન્ટ પર ગુસ્સે થઈ છે.
ADVERTISEMENT
ગૌહર ખાને સુનીલ શેટ્ટીની કમેન્ટ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું, ‘હું મારી સંપૂર્ણ ક્ષમતા સાથે તેમને સવાલ કરવા ઇચ્છું છું કે તમે આવું કેવી રીતે કહી શકો? કેવી રીતે? જો કોઈ સી-સેક્શન કરાવે છે તો એ સરળ વિકલ્પ અપનાવે છે એવી ખોટી માહિતી કોઈને કઈ રીતે હોઈ શકે છે. એક પુરુષ સેલિબ્રિટી જે ગર્ભાવસ્થામાંથી પસાર થયો નથી, જેણે બાળકને જન્મ આપ્યો નથી તે આવું કહે તો એ સાંભળીને અફસોસની લાગણી થાય છે. તેને ખબર નથી કે સી-સેક્શન કેટલું પીડાદાયક હોય છે.’

