તલાક દરમ્યાન હંસિકા મોટવાણીએ પોતાના સ્ત્રીધન અથવા ભરણપોષણ માટે કોઈ દાવો કર્યો નથી
હંસિકા અને સોહેલના ડિવૉર્સ થઈ ગયા છે
હંસિકા મોટવાણી છેલ્લા કેટલાક મહિનાથી પોતાની વ્યક્તિગત જિંદગીને કારણે ચર્ચામાં હતી. એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે તેના અને તેના બિઝનેસમૅન પતિ સોહેલ કથુરિયા વચ્ચે બધું ઠીક નથી અને બન્ને લાંબા સમયથી અલગ રહે છે. જોકે આ અફવાઓ પર બન્નેએ લાંબા સમય સુધી કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો. હવે રિપોર્ટ પ્રમાણે હંસિકા અને સોહેલના ડિવૉર્સ થઈ ગયા છે.
મળતી માહિતી પ્રમાણે બાંદરા ફૅમિલી કોર્ટે બન્નેના ડિવૉર્સને મંજૂરી આપી છે. આ રીતે લગ્નનાં માત્ર ૪ વર્ષમાં જ હંસિકા અને સોહેલનો સંબંધ સમાપ્ત થયો છે. હંસિકાએ કોર્ટમાં પરસ્પર સંમતિથી તલાક માટે અરજી દાખલ કરી હતી. કહેવામાં આવે છે કે તલાક દરમ્યાન તેણે પોતાના સ્ત્રીધન અથવા ભરણપોષણ માટે કોઈ દાવો કર્યો નથી.
ADVERTISEMENT
હંસિકાએ ૨૦૨૨માં સોહેલ કથુરિયા સાથે ભવ્ય રીતે લગ્ન કર્યાં હતાં. તેમની આ લગ્નવિધિ ઘણી ચર્ચામાં રહી હતી અને એ OTT પ્લૅટફૉર્મ પર ‘લવ શાદી ડ્રામા’ નામથી સ્ટ્રીમ પણ કરવામાં આવી હતી. જોકે લગ્નના થોડા સમય પછીથી જ બન્ને વચ્ચે મતભેદોની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. ધીમે-ધીમે સોશ્યલ મીડિયા પર પણ બન્નેની સાથેની તસવીરો દેખાવાની બંધ થઈ ગઈ હતી.
સોહેલ કથુરિયાનાં હતાં આ બીજાં લગ્ન
સોહેલ કથુરિયાએ પોતાની પહેલી પત્નીથી અલગ થયા પછી હંસિકા મોટવાણી સાથે બીજી વાર લગ્ન કર્યાં હતાં. અગાઉ તે હંસિકાની નજીકની મિત્ર રિન્કી બજાજનો પતિ હતો અને હંસિકા તેમની લગ્નવિધિમાં પણ હાજર રહી હતી. રિન્કીથી અલગ થયા બાદ સોહેલ અને હંસિકાએ ૨૦૨૨ની ચોથી ડિસેમ્બરે જયપુરમાં હિન્દુ રીતરિવાજ મુજબ લગ્ન કર્યાં હતાં.
