બજેટની સમસ્યા તેમ જ અન્ય તકલીફોને કારણે આ ફિલ્મ બનાવવાનો પ્લાન પછી પડતો મુકાયો હતો
હૃતિક રોશન અને રણબીર કપૂર
હાલમાં નિતેશ તિવારીની ‘રામાયણ’ને લઈને જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યો છે. જોકે આ પહેલાં પણ બૉલીવુડમાં ‘રામાયણ’ પર લાઇવ-ઍક્શન ફિલ્મ બનાવવાની તૈયારી થઈ હતી જેમાં હૃતિક રોશન ભગવાન રામનો રોલ કરવાનો હતો. ૧૫ વર્ષથી પણ વધુ સમય પહેલાં હૃતિકના સસરા સંજય ખાને પોતાની ફિલ્મ ‘ધ લેજન્ડ ઑફ રામ’ની જાહેરાત કરી હતી જેમાં હૃતિકની પસંદગી શ્રી રામની ભૂમિકા માટે કરવામાં આવી હતી. હૃતિક ઉપરાંત આ ફિલ્મમાં ઝાયેદ ખાનને લક્ષ્મણના રોલ માટે અને અમિતાભ બચ્ચનને રાજા દશરથની ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યા હતા.
એ ફિલ્મનું અંદાજિત બજેટ પચાસ કરોડ રૂપિયા હતું. જોકે ફિલ્મ ક્યારેય ફ્લોર પર જઈ શકી નહીં અને આખરે બંધ થઈ ગઈ. આ સ્થિતિ પાછળનું વાસ્તવિક કારણ ક્યારેય સામે આવ્યું નથી, પરંતુ એ સમયે આવેલા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આર્થિક કારણો અને શરૂઆતના આયોજન દરમ્યાન આવેલી મુશ્કેલીઓને કારણે એ પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો હતો.
