કિઆરા અડવાણીએ પોસ્ટપાર્ટમ અનુભવને યાદ કરીને કહ્યું કે આ સમયગાળામાં પતિ સિદ્ધાર્થે મને સંપૂર્ણ સાથ આપ્યો, ડૉક્ટરની સલાહ પછી સિદ્ધાર્થ મને રોજ રાતે ડ્રાઇવ પર લઈ જાય છે
મમ્મી બન્યા પછી હું બહુ ઇમોશનલ થઈ ગઈ હતી અને નાની-નાની વાતોમાં રડી પડતી
કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ગયા વર્ષે જુલાઈમાં દીકરી સરાયાહનાં પેરન્ટ્સ બન્યાં હતાં. મમ્મી બન્યા પછી કિઆરા માતૃત્વનો આનંદ માણી રહી છે. જોકે હવે કિઆરા ધીમે-ધીમે ફરી કામ પર પાછી ફરી રહી છે. હાલમાં કિઆરાએ એક વાતચીત દરમ્યાન મમ્મી બન્યા પછી પોતાની પોસ્ટપાર્ટમ જર્ની વિશે વાત કરતાં કહ્યું હતું કે મમ્મી બન્યા પછી મેં ઘણા ભાવનાત્મક બદલાવ અનુભવ્યા હતા અને આ મુશ્કેલ સમયમાં પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાએ મને સંપૂર્ણ સાથ આપ્યો હતો.
કિઆરાએ પોસ્ટપાર્ટમ સમયને યાદ કરતાં કહ્યું હતું કે ‘મમ્મી બન્યા પછી જિંદગી સંપૂર્ણ બદલાઈ જાય છે. આ એકદમ નવી દુનિયા જેવી હોય છે. મમ્મી બન્યા પછી લગભગ ૬ મહિના બાદ મેં પહેલી વાર પોતાનાં ઇમોશન્સ અને માનસિક સ્થિતિ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. હું હંમેશાં મારી જિંદગીમાં બીજાઓને પ્રથમ સ્થાન આપતી આવી છું, પરંતુ માતૃત્વએ મને ફરી પોતાની સાથે જોડાવાની અને પોતાની લાગણીઓને સમજવાની તક આપી છે.’
ADVERTISEMENT
ડૉક્ટરની સલાહ પછી સિદ્ધાર્થ મને રોજ રાતે ડ્રાઇવ પર લઈ જાય છે
તમને સમજાય છે કે તમે દરેક માટે એટલું બધું કરતા હો છો કે પોતાની સાથેનો સંબંધ જ ભૂલી જાઓ છો. એમ જણાવતાં કિઆરા કહે છે, ‘પોતાની સાથે શું વાત કરવી અને પોતાની લાગણીઓને કેવી રીતે સમજવી એ પણ મહત્ત્વનું છે. હું હંમેશાં બીજાઓ વિશે વિચારતી વ્યક્તિ રહી છું, પરંતુ મારી દીકરીના જન્મ પછી સૌથી મોટો બદલાવ એ આવ્યો કે મને આખરે પોતાની સાથેનો સંબંધ મજબૂત બનાવવાનો સમય મળ્યો. આ સમયે વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં સિદ્ધાર્થ હંમેશાં મારી સાથે રહેવાનો પ્રયત્ન કરતો હતો. દીકરીના જન્મ પછી શરૂઆતના દિવસોમાં હું ખૂબ ભાવુક થઈ ગઈ હતી અને નાની-નાની વાતોએ રડી પડતી હતી. આ વર્તન પર હવે અમે ખૂબ હસીએ છીએ. ડૉક્ટરની સલાહ પછી સિદ્ધાર્થ મને દરરોજ રાતે ડ્રાઇવ પર લઈ જાય છે. આ બહુ નાની વાત હતી, પરંતુ તેની મદદથી મને ઘરની બહાર નીકળવાની, તાજી હવા લેવાની અને એ ભારે રૂટીનનમાંથી બહાર આવવાની તક મળી.’
