તેણે અને ડિરેક્ટર આદિત્ય ધરે રિસ્ક લઇને પ્રૉફિટ-શૅરિંગ મૉડલ અપનાવ્યું, જેના કારણે તેમને બહુ કમાણી થઈ
આદિત્ય ધરની ફાઇલ તસવીર
રણવીર સિંહની ‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝીએ બૉક્સ-ઑફિસ પર ઇતિહાસ રચ્યો છે. ‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’ બન્ને ફિલ્મો સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ થઈ છે. હવે ફિલ્મોના બજેટ અને કમાણીને લઈને એક મહત્ત્વપૂર્ણ માહિતી સામે આવી છે. રિપોર્ટ મુજબ ભારે ઍડ્વાન્સ ફી લેવાને બદલે રણવીર સિંહ અને આદિત્ય ધરે ફિલ્મની સફળતા સાથે જોડાયેલું પ્રૉફિટ-શૅરિંગ મૉડલ અપનાવ્યું હતું.
‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝીની સહનિર્માતા જ્યોતિ દેશપાંડેએ ફિલ્મના બજેટના પ્લાનિંગ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘ફિલ્મનું બજેટ ધાર્યા કરતાં બહુ વધી ગયું હતું જેના પછી નિર્માતાઓએ રિસ્ક-શૅરિંગની વ્યૂહરચના અપનાવી હતી. ‘ધુરંધર’માં રણવીરે ઓછી નિશ્ચિત ફી અને બૅકએન્ડ ડીલ સાથે કામ કર્યું હતું, જેના કારણે ફિલ્મ સફળ થયા બાદ તેને એનો સીધો લાભ મળ્યો હતો. આદિત્ય ધરે પણ આવું જ મૉડલ અપનાવ્યું હતું અને ફિલ્મની સફળતા બાદ બન્નેને નોંધપાત્ર નફો થયો હતો. આ મૉડલના કારણે ફિલ્મ સાથે જોડાયેલી દરેક વ્યક્તિને ફિલ્મની સફળતામાં સીધો હિસ્સો મળ્યો હતો. માત્ર મોટી અૅડ્વાન્સ ચુકવણી પર આધાર રાખવાને બદલે સૌએ ફિલ્મની સફળતા માટે સમાન જવાબદારી લીધી હતી. ‘ધુરંધર’ માટે સમગ્ર ટીમે પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું હતું. ફિલ્મ માટે જે ખર્ચનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. એના કરતાં લગભગ બમણો ખર્ચ થયો હતો. જોકે અંતે ફિલ્મ બે ભાગમાં રજૂ થઈ અને લાંબી સફર બાદ તમામ સંકળાયેલા લોકોને અનો ફાયદો થયો.’
