લદાખમાં હિમાલય ફિલ્મ ફેસ્ટિવલની ઓપનિંગ સેરેમનીમાં ‘શેરશાહ’ દેખાડવામાં આવી હતી.
સિદ્ધાર્થ મલ્હોત્રા
લદાખમાં હિમાલય ફિલ્મ ફેસ્ટિવલની ઓપનિંગ સેરેમનીમાં ‘શેરશાહ’ દેખાડવામાં આવી હતી. એ વખતે સિદ્ધાર્થ મલ્હોત્રા પણ હાજર હતો. આ ઇવેન્ટનું ઉદ્ઘાટન યુનિયન ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે કર્યું હતું. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ૨૪થી ૨૮ સપ્ટેમ્બર સુધી આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા કૅપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આ ફિલ્મ આધારિત છે. ‘શેરશાહ’માં તેમનું પાત્ર સિદ્ધાર્થે ભજવ્યું છે. ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી લીડ રોલમાં છે. આ ફેસ્ટિવલમાં સામેલ થવા સિદ્ધાર્થ સાથે ડિરેક્ટર વિશુ વર્ધન, વિધુ વિનોદ ચોપડા અને ફિલ્મ-ક્રિટિક અનુપમા ચોપડા પણ હાજર હતી. આ ફેસ્ટિવલ દરમ્યાન ફિલ્મમેકર્સને તેમની ફિલ્મો દેખાડવા માટે એક મંચ આપવામાં આવી રહ્યું છે. મિનિસ્ટર અનુરાગ ઠાકુર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સિદ્ધાર્થે કૅપ્શન આપી હતી, ‘પહેલા હિમાલય ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ‘શેરશાહ’ના સ્ક્રીનિંગ સાથે કરવામાં આવ્યુ છે. યુનિયન ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર અનુરાગ ઠાકુર સાથે મંચ શૅર કરીને સન્માન અનુભવી રહ્યો છું. અમને આમંત્રિત કરવા બદલ આભાર.’