`બટવારા 1947`ના પ્રમોશન દરમિયાન સની દેઓલે જણાવ્યું કે જો સમ્રાટ અશોક પર ફિલ્મ બનશે તો તે તેમાં પોતાના બન્ને દીકરાઓ કરણ અને રાજવીર દેઓલને પણ સામેલ કરવા ઇચ્છે છે.
સની દેઓલ, રાજવીર દેઓલ અને કરણ દેઓલ
સની દેઓલ હાલ પોતાની આગામી ફિલ્મ ‘બટવારા 1947’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં પટનામાં યોજાયેલા એક પ્રમોશનલ કાર્યક્રમ દરમ્યાન તેણે પોતાના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરી હતી. આ સાથે તેણે જણાવ્યું કે જો આયોજન પ્રમાણે સમ્રાટ અશોક પર ફિલ્મ બનશે તો એમાં તે પોતાના બન્ને દીકરાઓ કરણ દેઓલ અને રાજવીર દેઓલ સાથે કામ કરવા ઇચ્છે છે.
પટનામાં પ્રમોશન દરમ્યાન જ્યારે સનીને પૂછવામાં આવ્યું કે હવે તે કયા પ્રકારનું પાત્ર ભજવવા ઇચ્છે છે ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે ‘સમ્રાટ અશોક મારા દિલની ખૂબ નજીક છે. રાજકુમાર સંતોષીએ મને એની વાર્તા સંભળાવી છે અને ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ પણ આ વિષયનું નરેશન આપ્યું છે. મને વિશ્વાસ છે કે હું આ પ્રોજેક્ટમાં મારા બન્ને દીકરાઓને પણ સામેલ કરી શકીશ કારણ કે આ વિષયનો ઇતિહાસ ખૂબ વિશાળ છે. આવી ફિલ્મો માટે ખૂબ મોટા બજેટની જરૂર હોય છે. પહેલાં મારી પાસે આવી કોઈ ફિલ્મ આવી નહોતી. જોકે ‘ગદર 2’ પછી પરિસ્થિતિ બદલાઈ છે અને હવે મને આશા છે કે આગળ વધુ સારી તક મળશે. હું ચોક્કસપણે આવી એક ફિલ્મ બનાવવા ઇચ્છું છું.’
