આનંદ એલ.રાયની આ ફિલ્મને નૅશનલ અવોર્ડ વિનર હિમાંશુ શર્મા અને કનિકા ઢિલ્લોં દ્વારા લખવામાં આવી છે
કનિકા ઢિલ્લોં અને હિમાંશુ શર્મા
‘રાંઝણા’ અને ‘મનમર્ઝિયાં’ના લેખક મળીને અક્ષયકુમાર અને ભૂમિ પેડણેકરની ‘રક્ષાબંધન’ની સ્ક્રિપ્ટ પર કામ કર્યું છે. નૅશનલ અવૉર્ડ વિનર લેખક હિમાંશુ શર્માએ ‘તનુ વેડ્સ મનુ’ સિરીઝ અને ‘રાંઝણા’ જેવી ફિલ્મો લખી છે. હિમાંશુએ પહેલી વાર કોઈ અન્ય લેખક સાથે મળીને ફિલ્મમાં કામ કર્યું છે. તેની સાથે આ ફિલ્મમાં કનિકા ઢિલ્લોંએ કામ કર્યું છે. કનિકાએ પણ ‘મનમર્ઝિયાં’, ‘કેદારનાથ’ અને ‘જજમેન્ટલ હૈ ક્યા’ જેવી ફિલ્મો લખી છે. તેમના દ્વારા લખવામાં આવેલી ફિલ્મને આનંદ એલ. રાય ડિરેક્ટ કરશે. આ ફિલ્મની જાહેરાત અક્ષયકુમારે ગયા વર્ષે રક્ષાબંધન પર કરી હતી, જેની હિરોઇન હાલમાં જ નક્કી કરવામાં આવી છે. આ વિશે હિમાંશુ શર્માએ કહ્યું હતું કે ‘આ પહેલી વખત એવું બન્યું છે કે હું કોઈ કો-રાઇટર સાથે મળીને કામ કરી રહ્યો છું. હું કનિકા જેવી પ્રતિભાશાળી વ્યક્તિ સાથે કામ કરવા માટે પોતાને ભાગ્યશાળી માનું છું. તેના વિચાર ખૂબ જ અદ્ભુત છે. તેનું કામ હંમેશાં વિવિધતાથી ભરેલું છે જે મને ખૂબ જ પસંદ છે. મને આશા છે કે ‘રક્ષાબંધન’માં અમે અમારું સર્વશ્રેષ્ઠ આપીશું.’
આ વિશે કનિકાએ કહ્યું હતું કે ‘આ ખૂબ જ ખાસ સ્ટોરી છે અને મેં પહેલી વાર હિમાંશુ સાથે કામ કર્યું છે. હિન્દી સિનેમાના બદલાવમાં તેણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હું તેની સાથે કામ કરવા માટે નર્વસ છું, પરંતુ ઉત્સાહી પણ છું. અમને આશા છે કે અમે એક એવી સ્ટોરી લઈને આવીશું જે દરેક ભાઈ અને બહેનના દિલને સ્પર્શ કરી જાય.’