આજની ઝડપી જીવનશૈલીમાં શરીરમાં થતો સોજો ઘણી આરોગ્ય સમસ્યાઓનું કારણ બની રહ્યો છે ત્યારે રોજિંદા જીવનમાં કેટલીક સરળ આદતો અપનાવવાથી એને નિયંત્રિત રાખવામાં મદદ મળી શકે છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આજકાલ ઇન્ફ્લમેશન એટલે કે શરીરનો આંતરિક સોજો જીવનશૈલી સંબંધિત અનેક બીમારીઓનું મુખ્ય કારણ માનવામાં આવે છે. હૃદયરોગ, ડાયાબિટીઝ, સાંધાના દુખાવા અને વહેલી ઉંમરે થતી થાકની સમસ્યાઓ પાછળ ઘણી વાર ક્રૉનિક ઇન્ફ્લમેશન જવાબદાર હોય છે. ઘણા લોકો એને ઓછું કરવા માટે વિવિધ સપ્લિમેન્ટ્સ અથવા ખાસ ડાયટનો સહારો લે છે, પરંતુ લૉન્જિવિટી નિષ્ણાત ડૉ. વાસિલી એલિઓપોલોસના જણાવ્યા મુજબ રોજિંદા જીવનમાં કેટલીક સરળ આદતો અપનાવવાથી પણ ઇન્ફ્લમેશનને નિયંત્રિત કરી શકાય છે.
સવારની હિલચાલ
ADVERTISEMENT
સવારે ઊઠ્યા પછી ૧૦થી ૨૦ મિનિટ સુધી ઝડપથી ચાલવાથી અથવા હળવી એક્સરસાઇઝ શરીરમાં થતું ઇન્ફ્લમેશન ઘટાડવામાં ખૂબ મદદરૂપ બની શકે છે. આ સરળ આદત શરીરમાં સ્ટ્રેસ-હૉર્મોન કૉર્ટિઝોલનું સ્તર ઘટાડે છે, બ્લડશુગરને સ્થિર રાખવામાં મદદ કરે છે અને ઇન્ફ્લમેશન વધારતાં તત્ત્વોને ઓછાં કરે છે. જો આ પ્રવૃત્તિ સવારે બહાર સૂર્યપ્રકાશમાં કરવામાં આવે તો એનો લાભ વધુ મળે છે, કારણ કે એ શરીરની સર્કેડિયન રિધમ એટલે કે બાયોલૉજિકલ ઘડિયાળને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે.
નિયંત્રિત ઠંડી-ગરમીનો અનુભવ
અઠવાડિયામાં ત્રણથી પાંચ વખત શરીરને થોડો સમય ઠંડા કે ગરમ તાપમાનનો અનુભવ કરાવવો આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે નહાતા સમયે ક્યારેક ગરમ અને ક્યારેક ઠંડા પાણીનો ઉપયોગ કરવો અથવા ગરમ પાણીના સ્ટીમ કે સૉના જેવી પદ્ધતિ અપનાવવી. આવો અનુભવ શરીરને થોડો સમય માટે પડકાર આપે છે, જેના કારણે શરીર પોતાની શક્તિ અને પ્રતિરક્ષા વધુ મજબૂત બનાવે છે. પરિણામે શરીરમાં થતો સોજો ઓછો થવામાં મદદ મળે છે, કોષોને ઊર્જા આપતી પ્રક્રિયા સારી રીતે કામ કરે છે અને શરીર વધુ ઝડપથી થાકમાંથી બહાર આવી શકે છે. એટલે આ રીત માત્ર શરીરને સાફ રાખવા કે ડીટૉક્સ માટે જ નથી પરંતુ શરીરની રિકવરી અને તંદુરસ્તી વધારવામાં પણ મદદરૂપ બની શકે છે.
ગાઢ ઊંઘને પ્રાથમિકતા
શરીરની રિકવરી માટે ઊંઘનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. જ્યારે આપણે ઊંઘતા હોઈએ છીએ ત્યારે શરીરની ઇમ્યુન-સિસ્ટમ સોજો ઘટાડવાનું મહત્ત્વપૂર્ણ કામ કરતી હોય છે. તેથી સારી અને ગાઢ ઊંઘ સ્વાસ્થ્ય માટે અનિવાર્ય ગણાય છે. ખાસ કરીને રાત્રે ૧૦ વાગ્યાથી બે વાગ્યા વચ્ચેનો સમય ગાઢ ઊંઘ માટે સૌથી મહત્ત્વનો માનવામાં આવે છે. આ સમય દરમિયાન શરીર પોતાનું રિપેરિંગ અને રિકવરીનું કામ વધુ સક્રિય રીતે કરે છે. જો ઊંઘ પૂરતી ન મળે તો શરીરમાં સોજો બનાવતા એક તત્ત્વનું સ્તર વધી શકે છે, ઇન્સ્યુલિન-રેઝિસ્ટન્સ વધે છે અને શરીરની રિકવરી-પ્રક્રિયા પણ ધીમી પડી શકે છે. સારી ઊંઘ માટે પ્રકાશનું યોગ્ય સંચાલન, યોગ્ય સમયે ખોરાક લેવાની આદત અને નર્વસ સિસ્ટમને શાંત રાખતી આદતો મદદરૂપ બની શકે છે.
હળવો ઉપવાસ
આરોગ્યલાભ મેળવવા માટે ખૂબ કડક અથવા લાંબા સમય સુધી ઉપવાસ કરવાની જરૂર નથી. જો દિવસ દરમિયાન શરીરને લગભગ સાતથી બાર કલાક સુધી ખોરાક વગરનો સમય મળે તો પણ એ શરીર માટે લાભદાયક બની શકે છે. આવું કરવાથી શરીરમાં થતું ઑક્સિડેટિવ સ્ટ્રેસ ઓછું થાય છે, ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધરે છે અને શરીરની કુદરતી ઓટોફેજી એટલે કે કોષોની સફાઈ-પ્રક્રિયા સક્રિય બને છે. ફાસ્ટિંગની આદત એકાએક નહીં પરંતુ ધીમે-ધીમે વિકસાવવી જોઈએ. એની સરળ શરૂઆત માટે સૂતાં પહેલાં ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલાં ખાવાનું બંધ કરવું એક સારો વિકલ્પ બની શકે છે. આ રીતે શરીરને પાચન માટે પૂરતો સમય મળે છે અને સમગ્ર સ્વાસ્થ્ય પર પણ એની સકારાત્મક અસર પડે છે.
મન-શરીરને શાંત રાખો
શરીરને દરરોજ થોડો સમય શાંત અને આરામદાયક સ્થિતિમાં રાખવું ખૂબ જરૂરી છે. જ્યારે શરીર શાંત રહે છે ત્યારે એ બિનજરૂરી તનાવમાં નથી જતું, પરંતુ જો માણસ લાંબા સમય સુધી તનાવમાં રહે તો શરીરમાં સોજો વધવાની શક્યતા વધી શકે છે અને આરોગ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. તેથી દરરોજ માત્ર પાંચથી દસ મિનિટ પોતાના મન અને શરીરને શાંત રાખવા માટે ફાળવવી સારી આદત છે. આ માટે ઊંડો શ્વાસ લેવો, કુદરતમાં થોડો સમય પસાર કરવો, જીવનમાં મળેલી સારી બાબતો માટે આભાર માનવો અથવા થોડા સમય માટે શાંતિથી બેસીને મનને આરામ આપવો જેવી સરળ પ્રવૃત્તિઓ ખૂબ મદદરૂપ બની શકે છે.
