રક્તદાન વિશે લોકોમાં જાગૃતિ આવે અને પોતાના કોઈ પણ જાતના અંગત ફાયદા વગર સામાજિક સેવાના ભાગરૂપે નિયમિત રીતે રક્તદાન કરતા દાતાઓનો આભાર માનવા માટે દર વર્ષે ૧૪ જુલાઈએ વર્લ્ડ બ્લડ ડોનર ડેની ઉજવણી કરવામાં આવે છે.
સમર્પણ હેલ્થકૅર સેન્ટર
રક્તદાન વિશે લોકોમાં જાગૃતિ આવે અને પોતાના કોઈ પણ જાતના અંગત ફાયદા વગર સામાજિક સેવાના ભાગરૂપે નિયમિત રીતે રક્તદાન કરતા દાતાઓનો આભાર માનવા માટે દર વર્ષે ૧૪ જુલાઈએ વર્લ્ડ બ્લડ ડોનર ડેની ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે આજે અહીં વાત કરવી છે નૉર્થ ઈસ્ટ ઝોન કેમિસ્ટ્સ એજ્યુકેશનલ ઍન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા સમર્પણ હેલ્થકૅર સેન્ટરની; જે બ્લડ બૅન્ક તથા થૅલેસેમિયા અને ડાયાલિસિસ સેન્ટર ચલાવીને અનેક દરદીઓને મદદરૂપ બનવાનું કામ કરે છે.
છેલ્લાં અમુક વર્ષોમાં રક્તદાનને લઈને લોકોમાં ઘણી જનજાગૃતિ આવી છે. વર્લ્ડ બ્લડ ડોનર ડે, સ્વતંત્રતાદિવસ, મહારાષ્ટ્ર ડે વગેરે જેવા દિવસોએ લોકો બ્લડ-ડોનેશન કરવા માટે આગળ આવતા હોય છે. જોકે એમ છતાં રેગ્યુલર બેઝિસ પર એટલે કે દર ત્રણ મહિને બ્લડ ડોનેટ કરવાની વાત આવે ત્યારે તેઓ પાછીપાની કરતા હોય છે. એની પાછળ ઘણાં કારણો જવાબદાર હોય છે, જેમ કે ઘણા લોકોમાં એવી ગેરમાન્યતા હોય કે રેગ્યુલર બ્લડ આપીશ તો મારામાં લોહીની કમી આવી જશે કે ઇન્ફેક્શન લાગવાનું જોખમ વધી જશે. ઘણાને દર ત્રણ મહિને બ્લડ ડોનેટ કરવાની ઇચ્છા હોય પણ ખબર ન હોય કે ક્યાં જઈને તેઓ બ્લડ ડોનેટ કરી શકે? ઘણાને ખબર હોય પણ બ્લડ ડોનેટ કરવામાં જે સમય લાગે એ કાઢી શકતા ન હોય. તો આ બધાં કારણોસર લોકો કોઈ ખાસ દિવસે કે વારતહેવારે બ્લડ ડોનેટ કરી દેતા હોય છે, પણ રેગ્યુલર બ્લડ-ડોનેશન માટે પ્રોત્સાહિત થતા નથી. ભારતમાં દર વર્ષે રક્તદાનની કમીને કારણે લાખો દરદીઓ તેમનો જીવ ગુમાવે છે. ખાસ કરીને થૅલેસેમિયા, કૅન્સરના દરદીઓ તથા સર્જરી-ટ્રાન્સપ્લાન્ટ વખતે, પ્રસૂતિ વખતે થતાં કૉમ્પ્લીકેશન્સ વગેરેમાં લોહીની જરૂર ઊભી થતી હોય છે. તમે જો રેગ્યુલર બેઝિસ પર રક્તદાન કરતા રહો તો જરૂરિયાતમંદોને લોહી મળતું રહે. લોહીની કમીને કારણે કોઈ દરદીને કષ્ટ ન પડે એ ઉદ્દેશ સાથે સમર્પણ બ્લડ-બૅન્ક ચલાવવામાં આવે છે. આ બૅન્ક અગાઉ અર્પણ બ્લડ બૅન્કના નામે ૧૯૮૫થી ૧૯૯૪ સુધી કાર્યરત હતી પણ અનિવાર્ય સંજોગોને કારણે એ બંધ કરવી પડી. એ સમયે નૉર્થ ઈસ્ટ ઝોન કેમિસ્ટ્સ એજ્યુકેશનલ ઍન્ડ વેલ્ફેર ટ્રસ્ટે ૧૯૯૮માં એને ફરી નવા નામ સાથે કાર્યરત કરી હતી જે આજની ઘડી સુધી કાર્યરત છે. આ ટ્રસ્ટની સ્થાપના ૧૯૯૬માં મુલુંડથી કુર્લા-માનખુર્દ વિભાગમાં કેમિસ્ટ વ્યવસાય સાથે સંકળાયેલા અને સમાજ માટે ઉપયોગી બનવાની ઇચ્છા ધરાવતા ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી.
થૅલેસેમિયા માટે રેગ્યુલર ડોનેશનની જરૂર
સમર્પણ હેલ્થકૅર સેન્ટર દ્વારા ૨૦૦૮થી થૅલેસેમિયા સેન્ટર ચલાવવામાં આવે છે. તેમણે અંદાજે ૧૪૦ જેટલા થૅલેસેમિયાના દરદીઓને અડૉપ્ટ કરેલા છે. આ દરદીઓને ફ્રીમાં બ્લડ ટ્રાન્સફ્યુઝનની સુવિધા આપપવામાં આવે છે. થૅલેસેમિયાના પેશન્ટ માટે રેગ્યુલર ડોનર શા માટે જરૂરી છે એ સમજાવતાં સમર્પણ હેલ્થકૅર સેન્ટરના મૅનેજિંગ ટ્રસ્ટી નીતિન મણિયાર કહે છે, સામાન્ય રીતે થૅલેસેમિયાના દરદીઓને દર ૧૫થી ૨૧ દિવસના અંતરે બ્લડ- ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે છે. થૅલેસેમિયા એક જિનેટિક બ્લડ ડિસઑર્ડર છે જેમાં શરીરમાં પર્યાપ્ત માત્રામાં હીમોગ્લોબિન નથી બની શકતું, જેનાથી એનીમિયા થઈ જાય છે એટલે કે રેડ બ્લડ સેલ્સની કમી થઈ જાય છે અને શરીરના અવયવો સુધી ઑક્સિજન નથી પહોંચી શકતો. એને કારણે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યા થાય છે. થૅલેસેમિયાના દરદીઓને સેમ રેગ્યુલર ડોનર્સનું બ્લડ મળતું રહે તો એ તેમના માટે સારું માનવામાં આવે છે. એનું કારણ એ છે કે દરેક ટ્રાન્સફ્યુઝન સાથે માઇનર ઍન્ટિજન્સ મિસમૅચ થવાના ચાન્સિસ હોય છે. રેગ્યુલર મૅચ્ડ ડોનરથી આ રિસ્ક ખૂબ ઓછું હોય છે. દરદીને વધુ અલગ-અલગ ડોનર્સનું બ્લડ મળે તો તેમની બૉડી વધુ ફૉરેન ઍન્ટિજન્સ જોઈને એક્સ્ટ્રા ઍન્ટિબૉડીઝ બનાવે છે જે તેમના શરીરને વધુ નુકસાન પહોંચાડી શકે છે. એક જ ડોનરથી રિપીટ ટ્રાન્સફ્યુઝનમાં આ રીઍક્શન નથી થતું. બ્લડ-બૅન્કમાં વારંવાર નવો મૅચ્ડ ડોનર શોધવો પડે છે, પણ જો સેમ ડોનર પાસેથી રેગ્યુલર બ્લડ-ડોનેશન થતું રહે તો આ કામ સરળ થઈ જાય છે. આ વસ્તુને ધ્યાનમાં લઈને અમે થૅલેસેમિયાના દરદીઓ માટે માય એક્સટેન્ડેડ ફૅમિલી નામનો એક પ્રોગ્રામ ચલાવીએ છીએ જેમાં અમે રેગ્યુલર બેઝિસ પર બ્લડ ડોનેટ કરતા લોકોને એક ચાઇલ્ડ અડૉપ્ટ કરવાનું કહીએ છીએ. એટલે કે એ ડોનરે પછી વર્ષમાં ત્રણ વાર અડૉપ્ટ કરેલા થૅલેસેમિયાના દરદીને બ્લડ આપવાનું રહેશે. એક વ્યક્તિ વર્ષમાં ત્રણ વાર બ્લડ ડોનેટ કરી શકે, પણ થૅલેસેમિયાના દરદીને વર્ષમાં લગભગ ૨૪ વાર બ્લડ-ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે છે. એટલે અમે થૅલેસેમિયાના એક દરદી દીઠ ૧૮-૨૪-૩૦-૩૬ સિલેક્ટેડ રેગ્યુલર ડોનર્સનું એક ગ્રુપ બનાવીએ. ભવિષ્યમાં વધુ થૅલેસેમિયાના દરદીને દત્તક લેવાની અમારી ઇચ્છા છે, પણ એ અગાઉ તેમના માટે રેગ્યુલર બ્લડ-ડોનર્સની વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી છે. પ્રાઇવેટ હૉસ્પિટલ્સમાં સિંગલ બ્લડ ટ્રાન્સફ્યુઝનનો ખર્ચ ૧૦,૦૦૦ રૂપિયા થાય છે પણ અમારા અડૉપ્ટેડ દરદીઓનો જે પણ ખર્ચ આવે છે એ અમારું ટ્રસ્ટ ઉપાડે છે.’
ડાયાલિસિસ સેન્ટર
સમર્પણ હેલ્થકૅર હેઠળ ૨૦૨૧થી ડાયાલિસિસ સેન્ટર પણ ચાલે છે. એ વિશે માહિતી આપતાં નીતિન મણિયાર કહે છે, ‘અમારે ત્યાં ૨૮ મશીન છે અને લગભગ ૧૦૦ જેટલા દરદીને ડાયાલિસિસ ફક્ત ૫૦ રૂપિયા ચાર્જ લઈને કરી આપીએ છીએ. ડાયાલિસિસની જરૂર તેમને પડે છે જેમની કિડની સરખી રીતે કામ કરતી બંધ થઈ ગઈ હોય. ડાયાલિસિસ શરીરમાંથી વેસ્ટ અને ઍક્સેસ ફ્લુઇડ લોહીમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. દરદીને અઠવાડિયામાં કમ સે કમ ત્રણ વાર ડાયાલિસિસ કરવું પડે. મુંબઈમાં એક સેશનનો ખર્ચ જ ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયા જેટલો થાય છે.’
સમર્પણ બ્લડ સેન્ટર
આ બ્લડ સેન્ટરની શરૂઆત ૧૯૯૮માં થઈ હતી. આજે એને ૨૭ વર્ષ પૂરાં થવા આવ્યાં છે. સમર્પણ બ્લડ સેન્ટરના કામકાજ વિશે વધુ માહિતી આપતાં નીતિન મણિયાર કહે છે, ‘સમર્પણ બ્લડ સેન્ટર તરફથી ૨૦૦૯થી લઈને ૨૦૨૪ સુધીમાં લગભગ ૨૮૦૦થી વધુ બ્લડ-ડોનેશન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે અંદાજે ૬૯,૦૦૦ જેટલી બૅગ્સ કલેક્ટ કરવામાં આવી છે. હાલમાં સમર્પણ બ્લડ સેન્ટર પાસે ત્રણ વેહિકલ છે, જેની મદદથી તેઓ વિવિધ જગ્યાએ બ્લડ-ડોનેશન કૅમ્પનું આયોજન કરે છે. લૉકડાઉનના સમયે જ્યારે બ્લડ કલેક્ટ કરવાનું મુશ્કેલ બની ગયું હતું એ સમયે પણ સમર્પણ બ્લડ સેન્ટર ૨૪૬ કૅમ્પ કરીને ૧૦,૩૪૫ બૅગ્સ બ્લડ કલેક્ટ કરવામાં સફળ રહ્યું હતું. સમર્પણ બૅન્ક તરફથી બ્લડને કલેક્ટ કરી એમાંથી રેડ બ્લડ સેલ્સ, પ્લાઝ્મા, પ્લેટલેટ્સ વગેરે જેવા કમ્પોનન્ટ અલગ કરીને એને ન નફો, ન નુકસાનના ભાવે નજીકની હૉસ્પિટલમાં ઍડ્મિટ દરદીઓને આપવામાં આવે છે. ડોનર ભલે ફ્રીમાં બ્લડ ડોનેટ કરતા હોય પણ બ્લડને પ્રોસેસ કરવાનો, સ્ટોર કરવાનો, ઇક્વિપમેન્ટ્સના મેઇન્ટેનન્સનો, ડોનેશન કૅમ્પનો, ઑફિસ પ્રીમાઇસિસનો, સ્ટાફનો ખર્ચ લાગતો જ હોય છે. આમ જોવા જઈએ તો અમારી આવક કરતાં અમારો ખર્ચ વધુ છે, પણ દરદીઓને સમયસર અને વાજબી દરે બ્લડ મળી રહે એ ઉદ્દેશ સાથે અમે સમર્પણ બ્લડ સેન્ટર ચલાવી રહ્યા છીએ. એવી જ રીતે અમારી પૉલિસી છે કે પૈસાના અભાવે કોઈ વ્યક્તિ બ્લડ લીધા વગર ખાલી ન જાય. તેની પાસે પૈસા ન હોય તો પણ અમે બ્લડ-બૅગ આપીએ જ છીએ અને પૈસા તેની ફુરસદે ચૂકવવાનું કહી દઈએ છીએ. અમે ફ્રી પિક-અપ, ડ્રૉપ સર્વિસ પણ આપીએ છીએ. ઘણી વાર એવું થતું હોય કે પેશન્ટ હૉસ્પિટલમાં ઍડ્મિટ હોય અને તેમના કૅરટેકર બીજા કામમાં વ્યસ્ત હોય અને ડૉક્ટરે પેશન્ટને બ્લડ ચડાવવા માટે કહ્યું હોય. તો એવા સમયે અમારા માણસો સ્કૂટી પર જઈને પેશન્ટનું બ્લડ-સૅમ્પલ લઈ આવે, એનું બ્લડ ક્રૉસ-મૅચિંગ થયા બાદ બ્લડની બૅગ પેશન્ટ સુધી પહોંચાડવાનું કામ અમે ફ્રીમાં કરીએ છીએ.’
બ્લડ-ડોનેશનથી શું ફાયદો થાય?
રેગ્યુલર બેઝિસ પર તમે બ્લડ ડોનેટ કરતા રહો તો એનાથી તમારી હેલ્થ પણ સારી રહે. રક્તદાનથી શરીર નવા રેડ બ્લડ સેલ્સ બનાવા લાગે છે, જેનાથી તમારું રક્ત સ્વસ્થ અને ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. રક્તદાનથી રક્તમાં આવશ્યકતાથી વધુ આયર્નનું સ્તર ઓછું થઈ જાય છે જેનાથી હૃદયરોગ, સ્ટ્રોક અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટી જાય છે. દરેક વખતે તમે બ્લડ ડોનેટ કરવા જાઓ એ પહેલાં તમારી બેઝિક ટેસ્ટ કરવામાં આવે છે, જેનાથી તમને રેગ્યુલર બેઝિસ પર તમારી હેલ્થની અપડેટ મળતી રહે છે.
તમે પણ કરી શકો બ્લડ ડોનેટ
જો તમને બ્લડ-ડોનેશન કરવાની ઇચ્છા હોય તો તમે ઘાટકોપર ઈસ્ટમાં પંતનગરમાં આવેલા સમર્પણ બ્લડ સેન્ટરમાં સવારે આઠ વાગ્યાથી લઈને રાત્રે આઠ વાગ્યા સુધીના સમયગાળામાં બ્લડ ડોનેટ કરવા માટે જઈ શકો. તમે એકલા પણ આવી શકો અને તમે તમારા ગ્રુપ સાથે પણ આવી શકો. જો તમને તમારી સોસાયટીમાં પણ બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કરવું હોય તો તમે આ સેન્ટરમાં ઇન્ક્વાયરી કરી શકો છો.

