BJ મેડિકલ કૉલેજમાં પ્રાર્થનાસભા યોજાઈ : સ્વર્ગસ્થોની સ્મૃતિમાં વાવ્યા ૨૬૦ છોડ : ઘટનાસ્થળે વિજય રૂપાણીના ફોટો સાથે લોકોએ આપી શ્રદ્ધાંજલિ
લોકોએ સ્વ. વિજય રૂપાણીનો ફોટો મૂકીને શ્રદ્ધાંજલિ અર્પી હતી (તસવીરો : જનક પટેલ)
અમદાવાદમાં થયેલી વિમાન-દુર્ઘટનાને એક વર્ષ પૂરું થતાં દુર્ઘટનાસ્થળે સ્વજન ગુમાવનારા અમદાવાદના પરિવારજનોએ પ્રાર્થનાસભા યોજી હતી. બીજી તરફ અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલના કૅમ્પસમાં આવેલી BJ મેડિકલ કૉલેજના ઑડિટોરિયમમાં દિવંગતોની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પ્રાર્થનાસભા અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિમાન જ્યાં તૂટી પડ્યું હતું એ સાઇટ પાસે અમદાવાદના સ્વજનોએ સુંદરકાંડ, હનુમાન ચાલીસા, શાંતિપાઠ અને ભજનનો કાર્યક્રમ યોજ્યા હતા. સવારથી મોડી સાંજ સુધી લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરીને જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ઘટનાસ્થળે સ્થાનિક લોકોએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વર્ગસ્થ વિજય રૂપાણીના ફોટો પાસે દીવો કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
BJ મેડિકલ કૉલેજના સ્ટુડન્ટ્સ આર્યન રાજપૂત, જયપ્રકાશ ચૌધરી, માનવ ભાદુ અને રાકેશ દિયોરા સહિત તમામ ૨૬૦ દિવંગતોને શહેરી વિકાસ રાજ્યપ્રધાન દર્શના વાઘેલા અને અમદાવાદના મેયર હિતેશ બારોટ સહિતના અગ્રણીઓ, કૉલેજના પ્રોફેસરો, ડૉક્ટરો અને સ્ટુડન્ટ્સે શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ નિમિત્તે રક્તદાન કૅમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કૉલેજ ગાર્ડન અને બૉય્ઝ હૉસ્ટેલ કૅમ્પસ ખાતે દિવંગતોની સ્મૃતિમાં ૨૬૦ રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. એમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનાં દીકરી રાધિકા રૂપાણીએ પિતા સહિત સૌ સ્વર્ગસ્થોને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને વૃક્ષારોપણ કર્યું હતું.
